Feeds:
Posts
Comments

આજના ભ્રષ્ટ ભારતીઓનું માનસ એ વારસામાં મળેલ છે એવું પ્રતિત થયા કરે છે. નાનામાં નાનો માણસ પણ લૂંટવામાં પાછી પાની નથી કરતો. ટી.વી. વાળાઓ જ આ બધા રસ્તા બતાવે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાથી તેની અસર બીજી વસ્તુનાં ભાવ પર પણ પડશે એવું સાંભળીને હું જ્યાંથી રોજ શાક લઉં છું, સાથે સાથે ક્યારેક ભીંજાવેલા કઠોળ પણ લઉં, તે શાક વાળાએ ( જુવાન છોકરો છે )ભીજાવેલા કઠોળ જે ૧૫ રુપિયામા ૨૫૦ ગ્રામ આપતો હતો તેના ૨૦ રુપિયા કીધા, મે કહ્યું કેમ ભાઇ પાંચ રુપિયા કેમ વધી ગયા ?  તો કહે -” સાહેબ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયાને ! તેની અસર ! ટી. વી માં જોયું નહીં”  વાત સાવ ખોટી હતી બીજી બે ત્રણ જગ્યાએ ભાવ પૂછ્યા તો આજે પણ એક મહીના પછી પણ એજ ૧૫ રુપીયાના ભાવે મળે છે. મને આ શાક વાળા છોકરાની ચાલાકીએ વિચારતો કરી દીધો. 

આજે ’ગુજરાત સમાચાર’ ના ગુણવંત  છો. શાહના એક લેખમાં એક વાત વાંચી અને એ વાત પણ વિચારતા કરી મૂકે તેવી લાગી. અણ્ણા હજારેજીની ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ’લોક્પાલ’ કમિટીની જે દેશવ્યાપી માળખાની કલ્પના છે, તેમાં ઓછામાં ઓછા ૧૫૦૦૦ અધિકારી કક્ષાના માણસો લાગશે ( તેમની નીચેના સહાયકો તો અલગ ) . શું આપણો આત્મા માને છે,  કે ૫૦૦ માણસો પણ સાચા, ઇમાનદાર, દેશભક્ત કે રાષ્ટ્રભક્ત મળશે ? જે આવા હોદા પર બેસીને પણ ઇમાનદારીને જાળવી શકશે ?

મૂળ વાત ગમે તેવી નથી પણ સચ્ચાઇથી આંખ આડા કાન કરી ન શકાય. આજથી ૨૦૦ વર્ષ પહેલા અખંડ ભારતની કલ્પના જ કોઇના મગજમાં ન હતી. જ્યાં દેશનું માન ચિત્ર જ મનમાં ન હોય તો પછી દેશભક્તિનો તો સવાલ જ ક્યાંથી હોય. સૌ પોત પોતાના રાજા રજવાડાનાં વફાદાર હતાં અને શરણાગતી સ્વિકારીને જીવતા હતાં. પહેલો આભાર માનો અંગ્રેજોનો કે જેણે આ ધરતીના માણસોની તાસીર અને નસ પકડી  ધીરે ધીરે સમ્રાજ્ય વધાર્યું અને ભારત નામના દેશનો એક નકશો બન્યો પછી આભાર માનો આઝાદીની ચળવળમાં જોડાયેલા દેશભક્તો અને  ક્રાન્તીકારીઓનો જેમણે ભારતના માનચિત્રને મનમાં રાખીને અંગ્રેજોને લડત આપી, અને છેલ્લે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલનો, જેમણે શામ, દામ, દંડ અને ભેદ, જે જરુર પડી તે શસ્ત્રનો ઉપયોગ કરી ફરી પાછા આ દેશને તૂટતો રોક્યો, નહીતો રાજવીઓ, સુબેદારો, ગાયકવાડો, સિંધીયાઓ, નવાબો  ફરી પાછી એજ રજવાડા વાળી  કરવાના વેંતમાં ટાંપીને બેઠા હતાં. આપણે બધા એક સંસ્કૃતીથી બંધાયેલા જરુર પણ દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિમાં નબળા સાબિત થયા છીએ.

આજે પણ ભાગલાવાદી પરિબળોનું જોર અને પ્રજાને રાષ્ટ્રવિરોધી બનાવવાની સાજીસ એટલી જ જોર શોરથી ચાલી રહી છે. અમારે અહિંયા ’જય હિન્દ’ કે ’ જય ભારત ’ કરતાં ’જય મહારાષ્ટ્ર’ બોલવામાં અને કાર કે રીક્ષાઓ પર લખવામાં ઘણો ગર્વ લેવાતો હોય તેવું લાગ્યા વગર ન રહે. બીજા ઘણા પ્રાંતોમાં આજ પરિસ્થીતી છે ( ગુજરાતને હજી આ આભડ છેટ નથી લાગી ) ભાષાવાદીઓ અને  પ્રાંતવાદીઓ પાસેથી આપણે રાષ્ટ્રપ્રેમની આશા કેવી રીતે રાખી શકીએ ?

આજ પ્રકારની હતાસાને લીધે ભૂતકાળમાં એક ચક્રી સાશન આપનારા અંગ્રેજોની સરાહના કરવામાં આપણા દીગ્ગજ ગણાતા કવિઓએ પણ ધન્યતા અનુભવી હતી, તેનો પહેલો અને વિવાદાસ્પદ દાખલો એટલે આપણું રાષ્ટ્રગીત.  મહર્ષી સમાન કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રાષ્ટ્રગીતમાં લેવામાં આવેલી  કડીઓ તો  તેમણે ૧૯૧૯ માં રચેલી જ્યારે આઝાદિતો કોશો દૂર હતી. તો પછી કયા અધિનાયકની આ વાત છે ? મારા શબ્દોમાં નહીં ઘણા લોકોના મનમાં આ આશંકા ચાલ્યા કરે છે. તેમના જ શબ્દોમાં જોઇએ.

Did you know the following about our national anthem ?

To begin with, India’s national anthem, Jana Gana Mana Adhinayaka, was written by Rabindranath Tagore in honor of King George V and the Queen of England when they visited India in 1919. To honor their visit Pandit Motilal Nehru had the five stanzas included, which are in praise of the King and queen. (And most of us think it is in the praise of our great motherland!!!)

In the original Bengali verses only those provinces that were under British rule, i.e. Punjab, Sindh, Gujarat, Maratha etc. were mentioned. None of the princely states were recognized which are integral parts of India now Kashmir, Rajasthan, Andhra, Mysore or Kerala. Neither the Indian Ocean nor the Arabian Sea was included, since they were directly under Portuguese rule at that time. The Jana Gana Mana Adhinayaka implies that King George V is the lord of the masses and Bharata Bhagya Vidhata is “the bestower of good fortune”. the five stanzas that glorify the King.

બીજો દાખલો- આપણા માનનીય ગુજરાતી કવિ શ્રી નર્મદનો ( જય જય ગરવી ગુજરાત વાળા )   ૪-ઓક્ટોબર, ૧૮૫૭,   કવિ શ્રી નર્મદે ભારતનાંઅંગ્રેજી શાસન તથા મહારાણી વિક્ટોરીયાની પ્રશસ્તિ રુપે લખેલા રાજભક્તિ સંબધી કાવ્યોમાનું એક.

અંગ્રેજી જહાં રાજ છે, જુલમ ના દેખાય.

ઉદ્યમ ઠામો ઠામ બહું, ધરણી ધમ ધમ થાય.

                                                      અનેક ધનવંતા ગરીબ, સમ ન્યાયે તોળાય.

                                                      વરુને બકરી બે જણા પાસ પાસ જોવાય.

                                     અંગ્રેજી જહાં રાજ તહાં, સરે સંપ સુખ  જોય,

                                    ભાઇબંધની પ્રીતડી રાય રંકમાં હોય.

                                                     વિનતિ હમારી માનીને,  સાહ્ય તું થા જગબાપ.

                                                     રાજ્યનું રક્ષણ કર સદા, દંડ દુષ્ટને આપ.  

 આવતો બ્લોગ એક કર્નલની ડાયરી વિષે, જે ફરતા ફરતા રાજ રજવાડાં અને ભારતીઓના માનસનો અભ્યાસ કરતો હતો. આ જનમાનસમાં આજે પણ કંઇ ખાસ ફેર નથી એવું જરુર પ્રતિત થશે.

બ્લોગ- ૯૪

મારા એક મિત્ર હમણાં જ યુરોપની પેકેજ ટુર મારીને આવ્યા, એટલે મને થયું કે ચાલો તેમને મળી આવું. એકાદ કલાક ખપાવીશ તેમ વિચારી સારો એવો સમય કાઢીને તેમને મળવા ગયો.

” કેમ છો ? પ્રવિણ ભાઇ !  કેવી રહી યુરોપની ટૂર ?” ( મજાકમાં  અમે તેમને પોપટ ભાઇ કહેતા ) એટલે તેમણે કહ્યું ” કેમ આજે મને પોપટ ભાઇ કહીને ન બોલાવ્યો ? ” મે કહ્યું ” હવે તમને પોપટ ભાઇ થોડા કહેવાય ? યુરોપની ટૂર કરીને આવ્યા છો ને ! એ  બધુ જવાદો કેવી રહી ટૂર ?”

” સાહેબ બહુ મજા આવી વાત ન પૂછો ! યુરોપ એટલે યુરોપ ! ”  અચ્છા મે કહ્યું ” સ્વિત્ઝર્લેન્ડ કેમ રહ્યું ? “  — ” હા બહુ મજા આવી પેલો જબ્બરજસ્ત વોટર-ફોલ “  -   એટલે મે કહ્યું  ”  રાઇન ફોલ્સ “    -  ” હા, હા બરાબર રાઇન ફોલ્સ,  જબરજસ્ત ! ” –મે કહ્યું ” ઝુરિક નજીક આવેલા શાફ્હાઉસનમાં રાઇન ફોલ આવેલો છે. આ વોટર ફોલને યુરોપનો નાયગ્રા ફોલ કહેવામાં આવે છે. સ્વિત્ઝરલેન્ડની આ ખુબ સુંદર જગ્યા છે, આલ્પ્સ પર્વત માળામાંથી નીકળી આ રાઇન નદી આગળ જતાં જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ થઈને નોર્થ સીને મળે છે “

પ્રવિણ ભાઇ પોપટની જેમ મારી સામે મોઢું વકાસીને જોઇ રહ્યાં. મને કહે -  ” યાર તમે આ બધું ક્યારે ફરી આવ્યા, તે આટલી બધી વિગત વાર મહીતી આપો છો ! “  મે કહ્યું જાવાદો – પ્રવિણ ભાઇ, પેરિસમાં એફિલ ટાવર તો જોયો જ હશે ? “  -   ” યાર કેવી વાત કરો છો, પેરિસ તેના માટે તો પ્રખ્યાત છે “  - મે કહ્યું-  “ દિવસ કરતાં રાત્રે થતો લાઇટ-શો જોવા જેવો હોય છે. પ્રવાસીઓ નાં ટોળા આ શો શરુ થતાં પહેલાજ હજારોની સંખ્યામાં ગોઠવાઇ જાય છે. ૧૮૮૯ માં ફ્રાન્સમાં યોજાયેલા એક વર્લ્ડ ફેરના ઉદઘાટ્ન માટે બનાવવામાં આવેલો એફિલ ટાવર પછી પેરિસની આંતરરાષ્ટ્રીય આઇડેન્ટિટી બની ગયો. ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે આ ટાવર બાંધવાનો પ્રસ્તાવ પહેલાં બાર્સિલોના શહેરમાં મૂક્યો હતો. “

પ્રવિણ ભાઇ ફાટી આંખે મને જોઇ રહ્યાં- મને કહ્યું ” યાર તમે મારું નામ પોપટ ભાઇ રાખ્યું છે તે બરાબર લાગે છે, તમે ક્યારે યુરોપ ફરીઆવ્યા અને આટલી બધી માહિતી ક્યાંથી મેળવી છે એતો કહો ?”  મેં કહ્યું - ” પ્રવિણ ભાઇ હવે મારી હિંમત નથી ચાલતી તમને પુછવાની કે લુવરે મ્યુઝીયમમાં ૧૬ મી સદિથી મોનાલીસાનું  પ્રખ્યાત પેઇન્ટીંગ  રાખવામાં આવેલું છે તે તમે જોયું ?” - પ્રવિણ ભાઇ હવે તો એક દમ અવાચક થઇ ગયા. મે કહ્યું ” ઓ ભાઇ…..આ બાજુ જુઓ જરા.. બની ગયાને પોપટ ?  સાચું કહું તો યુરોપની જાણકારી માટે હું પણ તમારી જેવો જ પોપટ છું, કારણ કે હું ક્યારેય યુરોપ ગયો નથી કે નથી જવા માટે આવતા બે વર્ષમાં કોઇ પ્લાન “   -   તો, તો પછી આ બધું ગગડાવે જતાં હતાં એ શું ? “

” હા એ બધું એકસો એક ટકા સાચું , મારા મિત્ર થાનકીની દીકરી પ્રતીક્ષા છેલ્લા ત્રણેક વર્ષથી જર્મનીમાં છે, કારણ કે તેના મિસ્ટર કુમારને  ’ઇન્ફોસીસ’ તરફથી  ત્યાં પ્રોજેક્ટ માટે મોકલવામાં આવેલ છે. જ્યારે જ્યારે રજાઓની અનુકુળતા મળે છે ત્યારે તેઓ યુરોપનો પ્રવાસ ખેડે છે. પ્રતીક્ષાએ ખુબ જ હોમવર્ક કરી અને ઇન્ટરનેટ મારફતે માહિતીઓ એકઠી કરી પ્રવાસ પ્લાન કરેલા છે અને કલકત્તાથી પ્રગટ થતાં “હલચલ ” જુથના પાક્ષીક ’” સાંવરી” માં યુરોપનાં પ્રવાસ વર્ણનની લેખમાળા ચાલુ કરી હતી જેનું સંકલન ” યુરોપમાં હરતાં ફરતાં “ પુસ્તક સ્વરુપે આજે મારી સામે છે.

બીજું એ કે,  મેં જે યુરોપ વિષે ઉપર  ગગડાવે રાખ્યું એ તો ૨૪૦ પાનાનાં પુસ્તકમાંથી ખાલી ગોખેલી બે ત્રણ લાઇનો જ છે. વિચાર કરી લો,  ૨૪૦ પાનામાં આ પ્રવાસ વર્ણનમાં શું શું માહિતીઓ નહી હોય.

 માફ કરજો  ઉપર લખેલી પ્રવિણ ભાઇની વાર્તા ઉપજાવી કાઢેલી છે, કારણ કે આ પુસ્તકની ભૂમિકા બાંધવા આ સિવાય બીજો કોઇ સારો ઉપાય સુઝ્યો નહીં. યુરોપ ન જવું હોય અને ઘરે બેઠા પ્રવાસની મજા માણવી હોય તો આ પુસ્તક વાંચી જજો અને જવાના હોય તો તો જરુર વાંચજો, જેથી તમે પેકેજ ટૂરના ઓપરેટરોની સહાય વગર તમારી રીતે જ પ્રવાસ ગોઠવવાને સક્ષમ બની જશો અને પેકેજ ટૂરના ગણ્યા ગાંઠ્યા લીસ્ટને ચાતરીને યુરોપનો પ્રવાસ આનંદ દાયક, અર્થ સભર અને માહિતીપૂર્ણ બનાવી શકશો, આ મારી ખાત્રી છે.

એક વાર ચંદ્રીકા ભાભીએ વાત કરી હતી. જ્યારે સ્વિટી ( પ્રતીક્ષા ) ત્રણેક વર્ષની હતી. અમદાવાદથી પોરબંદર બસમાં જતાં હતાં અને બસને નાનકડો અકસ્માત નડ્યો હતો. ઉપરની રેક પરથી સામાન નીચે પડી ગયો હતો, નસીબ જોગે કોઇને વાગ્યું ન હતું.  ત્યારે બાળ સહજ કુતુહલથી સ્વિટીએ ( પ્રતીક્ષા ) પૂછ્યું , ” મમ્મ્મી શું થયું ? ” એ્ટલે મેં કહ્યું સ્વિટી આને એક્સીડેન્ટ થયો કહેવાય .”  સાત- આઠ મહીના પછી ફરી પોરબંદર જવાનું થયું ત્યારે સ્વિટી વારે ઘડીએ પૂછ પૂછ કરતી હતી,  ” મમ્મી એક્સીડન્ટ કેમ નથી થતો ? “

આ હતી તેની પ્રવાસની જીજ્ઞાસા… પ્રવાસ તેનો નાનપણથી જ હોબી છે એવું લાગે છે. ફિલ્મ “તીસરી કસમ ” ના પેલા ગીતની જેમ -’ ઉડ ઉડ બૈઠી હલવૈયા દુકનવા.. હલવા કે સબ રસ લે લીયો રે પીંજરે વાલી મુનીયાં… “ .  મે તો પુસ્તક વાંચ્યું છે, જે જે જગ્યાએ તેણે પ્રવાસ કર્યો છે તે તે જગ્યા વિષેની સાહિત્યીક, સામાજીક, ઐતીહાસીક, કુદરતી સૌદર્ય હોય કે પછી કલા, ત્યાનાં લોકોનાં મીજાજ હોય કે આર્કીટેક્ચરલ વિષય,  માહિતી મેળવવામાં અને આપવામાં કોઇ કસર નથી છોડી અને તે બધી માહિતી રસપ્રદ રીતે પુસ્તકમાં રજુ કરી છે.

થોડુક કુમાર વિષે (પ્રતીક્ષાના હસબન્ડ ). પુસ્તક વાંચતાં એવું લાગ્યું જાણે આ પુસ્તક લખવાના આખાય પ્રયાસમાં કુમાર મિ. ઈન્ડીયાની જેમ અદ્રશ્ય રહીને પ્રતીક્ષા માટે બધું ઇન્ફ્રાસ્ટ્રકચર જાણે તૈયાર કરીને અદ્રશ્ય હાજરી આપતા રહે છે. પ્રતીક્ષાને ભૂખ લાગે ત્યારે મિ. ઇન્ડીયાની ઢબે જ અચાનક દ્રશ્યમાન થાય છે. પછી સારી હોટ-ચોકલેટ, સ્પેગિટી કે પછી સીન્ટ્રાની ચીઝ કેક ક્યાં મળશે તેની માહિતી તૈયાર જ રાખે છે. થોડાક સારા ફોટો-સ્નેપ લે છે અને વળી પાછા અદ્રશ્ય. (આ પુસ્તક પ્રતીક્ષાએ તેમને જ અર્પણ કરેલ છે )

જર્મનીની “U” બહાન “S” બહાન પ્રકારની ટ્રામ વ્યવસ્થા, અંગ્રેજી ન બોલવાના દુરાગ્રહી જર્મનો, લીસ્બનની ક્રિસમસ તૈયારીઓ, અંગ્રેજી ન સમજતા પોર્ટુગીઝ ટેક્ષી ડ્રાઇવરો,  પોર્ટુગલનાં જુદા જુદા શહેરોમાંથી દેખાતા એટલાન્ટીક મહાસાગારના જુદા જુદા સ્વરુપો, પોર્ટુગલનું બેલેમ ’એજ ઓફ ડીસ્કવરીનું “ પ્રતિક, જ્યાંથી વાસ્કો-દ-ગામા ભારતની શોધમાં નીકળ્યો હતો. યુરોનીમસ મોનાસ્ટ્રી જેના પ્રવેશ દ્વાર પર વાસ્કો-દ-ગામાની કબર છે,  લીસ્બનની ૨૭૦ ફુટ ઉંચા પેડેસ્ટલ પર ૯૦ ફુટ ઉંચી ક્રાઇસ્ટ્ની પ્રતિમા, ભારતની યાદ અપાવે તેવી રોમની ટ્રાફીક અરાજકતા, રોમનું કોલેસીયમ જ્યાં એક જમાનામાં ’ગ્લેડીયેટરો’ ના મુકાબલા અને રોમન પ્રજાના મનોરંજન માટે જીવ સટોસટનાં ખેલોનું આયોજન થતું, વેટીકનનો સેન્ટ-પીટર્સ બાસીલીકાનો માઇકલ એન્જેલોએ બનાવેલો ૧૨૦ મીટરનો ડોમ, ૩.૨ કીલો મીટર વ્યાસ ધરાવતો દુનિયાનો સૌથી નાનો દેશ વેટીકન, ૧૫૦૮ થી ૧૫૨૨ વચ્ચે બનાવેલા માઇકલ એન્જેલોનાં અદભૂત ચિત્રો, ફ્લોરેન્સ નાઇંટીંગેલનું ફ્લોરેન્સ, મધ્ય યુગના ઇટાલિયન ભાષાનાં પિતામહ તરીકે ઓળખાતાં દાન્તેની કબર, ગેલેલિયોની કબર, કેનાલો અને ગોન્ડોલાનું વેનિસ, રિયાલ્ટો બ્રીજ, શેક્સપિયરની યાદો ” મર્ચન્ટ ઓફ વેનિસ “, હાઇડલનો ફિલોસોફર રોડ, ગ્રીક ટાપુઓ, ગ્રીસ, એરીસ્ટોટાલની થીયરીઓ, ત્રણ દેશો સાથે જોડાયેલું ’લેક કોન્સ્ટાન્સ’ મ્યુનીકનાં કોન્સટ્રેશન કેમ્પો…..અદભૂત..   અદભૂત….

ચંદ્રકાન્ત બક્ષીની “અમેરીકા અમીરીકા” વાંચ્યા પછી આટલું સરસ માહિતી સભર પ્રવાસ વર્ણનનું પુસ્તક ઘણા સમયે વાંચ્યું.  અદભૂત…

બ્લોગ-૯૩

અણ્ણા હાજારેને સો સો સલામ, એક ચીનગારી ફૂંકી અને કમસે કમ લોકોમાં ભ્રષ્ટાચાર સામે ઉભા થવાની જાગૃતી તો આણી. પણ જે ઉન્માદ ક્રીકેટના વર્લ્ડ-કપ જીત્યાનો હતો તેવો ઉન્માદ દેખાડીને ટી.વી. કેમેરા સામે થોડુંક નાચીને ઘર ભેગા થઇ જવાથી આ વાતમાં નહી ચાલે. એક એક માણસે અ્ણ્ણા હજારે બનવું પડશે, કારણ કેભ્રષ્ટાચારી કીડો ઉધઇની જેમ એકે એક શહેરમાં એક એક ગલીએ ગલીએ દર કરીને બેઠો છે. મારા વિસ્તારમાં તો હું ઢગલા બંધ ભ્રષ્ટાચારી અને રાજકારણીઓના બેનરો લાગેલા જોઉં છું. ગણેશ મહોત્સવ હોય કે નવરાત્રી, ” ભક્તોને અભિનંદન “, જરખની જેમ ખંધુ હસતા હસતા હીરોની જેમ ફોટા પડાવી મોટી સાઇઝના બેનરો લગાવડાવે છે. કંઇ ન હોય તો વાઢ-દિવસ ( જન્મ-દિવસ )ના બહાને, કોઇ પણ બહાનું આ લોકો જતું નથી કરતા. રોજ એના એજ ખંધા અને ગંદા ભ્રષ્ટાચારી રાજકારણીઓના ફોટા જોઇને એક પ્રકારની ધ્રણા પેદા થયા કર છે. પણ લાચાર…….

આ પહેલા મેં એક વાર બ્લોગમાં ફિલ્મ ’ રંગ દે બસંતી ’ વિષે લખેલું, કે ન જોઇ હોય તો એક વાર જરુર જો જો,  આ ફિલ્મ વિષે શ્રી જય વસાવડાના એક લેખમાં વાંચેલું -  ફિલ્મના લેખક શ્રી કમલેશ પાંડેને પુછવામાં આવ્યુ કે આ ફિલ્મની વાર્તાના વિચારનું મૂળ ઉદભવ સ્થાન ક્યું ? ત્યારે તેમણે જે વાત કહી તે, તીરની જેમ હૃદયમાં ચુભે તેવી છે.  તેમણે કહ્યું કે ’”  અમે જ્યારે નાના હતાં ત્યારે એક વાર વડા પ્રધાન પંડીત જવાહર લાલ નહેરુનું જોરદાર ભાષણ સાંભળેલું કે ભ્રષ્ટાચારીઓને  વીણી વીણીને ઇલેક્ટ્રીકના થાંભલે લટકાવી દેવામાં આવશે !  બાળ સહજ કુતુહલ હતું, રોજ નીશાળેથી ઘરે જતાં જતાં ઇલેક્ટ્રીકના થાંભલાઓ જોયા કરતાં,  પંડીત જવાહરલાલ પછીની ચાર ચાર પેઢીઓ વિતી ગઈ, હજી સુધી એક પણ ભ્રષ્ટાચારીને થાંભલે લટકાવેલો જોયો નથી.

અણ્ણા હજારેજી અને આપણે બધાએ વિચારવાનું છે કે, હવે તો જેટલા ઇલેક્ટ્રીકના થાંભલા છે એટલા દેશમાં ભ્રષ્ટાચારીઓ છે, ગલીએ ગલીએ અને શહેરે શહેરે, ગટરમાં કીડા ખદબદે તેમ આખા દેશમાં ખદબદી રહ્યા છે , રાજકારણીઓ,પોલિસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ,  રાજકારણીઓએ પોષીને વકરાવેલા ગામના લુખ્ખા ગુંડાઓ, લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે. કદાચ ઇલેક્ટ્રીકના થાંભલા ઓછા પડશે.

અણ્ણા હજારે સૈનીકના ડ્રેસમાં

અણ્ણા હજારે એક લડાયક  મિજાજના સૈનીક છે, પંદર વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી ચુકેલા છે. ૧૯૬૩ માં ભારત સરકારની યુવાનોને સેનામાં જોડાવાની હાકલ હતી અને અણ્ણાજી તેને પોતાની ફરજ સમજી અને સેનામાં જોડાઇ ગયાં. સિક્કીમ, આસામ, ભુતાન, મીઝોરામ, લડાખ  આ બધીજ સરહદો પર તેમનું પોસ્ટીંગ થયેલું હતું. સરહદ પરનાં દુશ્મનો સામે લડવું સહેલું છે, સામો આવે તો ગોળી ધરબી દેવાય, આ તો દેશની અંદર રહેલા દુશ્મનો છે, એકલા અણ્ણા હજારેથી નહીં ચાલે, એકે એક નાગરીકે અણ્ણા હજારે બનવું પડશે. આપણે એ દિવસની રાહ જોઇએ કે ક્યારેક તો ઇલેક્ટ્રીકના થાંભલે એકાદ ભ્રષ્ટાચારીને લટકાવવામાં આવે ! ( જો માનવ અધિકાર પંચ આડું ન આવે તો )

બ્લોગ-૯૨

હવે તો શક પડે છે ભારતીઓના લોહી પર ..ભારતીઓના વંશ અને નસ્લ પર..

                 કાગળના જેવી ઉધાઇ ગઇ રે સાવ માણસની જાત,

                                અંદરથી આખી ખવાઇ ગઇ રે સાવ માણસની જાત.   -   મુકેશ જોષી

દેશને વેંચી ખાનારા ઘોટાળે બાજ દરિંદાઓ, સફેદ ચોરો…, રોજ એકને એક ઘોટાળાના સમાચાર, રોજ દૈનિકના પહેલા પાને નવા નવા ચોરના નામો.કાળુ નાણું વિદેશી બેન્ક ભેગુ કરનારા રાષ્ટ્રદ્રોહીઓ…., ૨૦૦ વર્ષમાં અંગ્રેજોએ જેટલો આ દેશને નથી લુંટ્યો એટલો આ દેશ દ્રેહીઓએ ૬૦ વર્ષમાં લુંટ્યો છે. દ્રૌપદીના ચીર ખેંચાતા જોઇ રહેલા લાચાર સભાજનો જેવા આપણે નપુંશક લોકો છીએ. એકાદ દેશ દાઝ વાળો સન્યાસી કે સાધુ હિંમત ભેર વિવાદ છેડે છે ત્યારે આપણે ટી.વી પર જોઇને તાલીઓ બજાવી છીએ. મને તો હવે આપણી નસ્લમાં જ કોઇ ખામી દેખાય છે. આપણું લોહી જ સડેલું અને ખરાબ છે એવું લાગ્યા કરે છે.

નાના પટેકરનો એક ફિલ્મનો સંવાદ સોએ સો ટકા સાચો હોય તેવું પ્રતિત થયા કરે છે. ” सौ में से नीन्यानबे बे-ईमान, मेरा भारत महान “  આમીર ખાનની ફીલ્મ “રંગ દે બસંતી” જોયું હતું. દેશના ક્રાંન્તિકારી શહીદો પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા આવેલી એક વિદેશી છોકરી સાથે કામ કરતા કરતા આ લબર મુછીઆ જુવાનીયાઓને આપણા જ દેશને ઉધઇની જેમ ખાઇ જનારા અને કરપ્ટેડ નેતાઓ અને સરકારી અધિકારીઓ સાથે પાલો પડે છે અને તેમને પાઠ ભણાવવા ખાતર અને દેશની જનતાને વાકેફ કરવા માટે બધાએ શહીદી વ્હોરવી પડે છે. શહીદોને આતંકવાદીઓ તરીકે ખપાવવાની ભરપૂર કોશીષ કરવામાં આવે છે. ફિલ્મ ન જોઇ હોય તો એક વાર જરુર જોજો, તમારો રાષ્ટ્ર પ્રેમ છાતી ફાડીને બહાર ન આવે તો કહેજો.

આ દેશની ધર્મીકતા પર કોઇ શક નથી ધર્મમાં રાષ્ટ્રધર્મનું મહત્વ શીખવે તેવી વાતો બહુ ઓછી છે. કારણકે આર્થીક પરિબળોએ સમાજ પર ઘણી મજબુત પકડ રાખી હતી. મહાભારતનો જ દાખલો લો,  ભિષ્મ, દ્રોણ, વિદુરજી જેવા ધુરંધરો પણ સત્યના પક્ષે રહી ન શક્યા કોઇક આર્થિક મજબુરી અને નમક ખાધાની ખોટી ફીલોસોફીને વળગી રહ્યા. રાષ્ટ્રધર્મ માટે સત્યના પક્ષે ઉભું રહેવું જરુરી હતું. કૃષ્ણે એટલે જ  અર્જુનને કહ્યું હતું ” તું એક એકને વિણી વિણીને માર આ બધા જ સજ્જન પુરુષો અસત્યના પક્ષે ઉભા છે.” 

 જ્યારે કૃષ્ણે દુર્યોધનને પસંદગી માટે બે વિકલ્પો મૂક્યા કે એક તરફ હું અને બીજી તરફ મારી અક્ષૌહીણી સેના, જે પસંદ હોય તે નક્કી કર. હવે મૂળ વાત પર આવું, આ અક્ષૌહીણી સેનાનો એક જણ પણ એવો ન નીકળ્યો ? કે જેણે છાતી ઠોકીને કૃષ્ણને કહી દીધું હોય કે હું સત્યના પક્ષે ઉભો રહીશ ! નહી એવું ન બન્યું કારણકે આ દેશમાં આ પરિસ્થિતી હજારો વર્ષથી ચાલી આવે છે. પેટીયું રળવામાંથી જ  બહુ મોટો વર્ગ ઉંચો નથી આવ્યો. તેવા લોકોનો પહેલો ધર્મતો કુટુંબનું ભરણ પોષણ થઇ પડે છે, રાષ્ટ્રધર્મ કોરે મુકવો પડે છે.

એક વાર શ્રી જય વસાવડાના લેખમાં વાંચવા મળ્યું હતું કે શ્રી જદુનાથ સરકારના સચોટ તવારીખ વર્ણન મુજબ ૧૮ મી સદી સુધી તો આ દેશનો મોટો વર્ગ ભાડૂતી અને ધંધાદારી સૈનિકોનો જ હતો, પોતાને જ્યાં નોકરી મળે ત્યાં જ બધી વફાદારી, પછી તે રાજા હિન્દુ હોય કે મુસલમાન કે પછી  અંગ્રેજ. જ્યાં પેટીયું રળવા મળે તે ધર્મ,  જો ક્યાંય નોકરી ન મળે તો લૂંટફાટ કરતા, તેઓને શું રાષ્ટ્રપ્રેમ ? કે શું રાષ્ટ્રધર્મ ? આવા લોકોને તો પોતાના ગામ પ્રત્યે પણ પ્રેમ ન હતો. મોટા માથાના વેપારીઓ પણ પોતાની સલામતી માટે અંગ્રેજોના ખોળે બેસી જતાં. વિદેશીઓ સાથે રહીને પોતાના જ દેશના માણસો સામે લડ્યા હોય તેવો આ એક જ દેશ છે. દુનિયાના ઇતિહામાં આવા દાખલા ક્યાંય જોવા નથી મળતાં.

કોઇક વિરલા જ ભગતસિંહ, ચંન્દ્રશેખર આઝાદ જેવા પાક્યા, ગાંધીજી કે સ્વાત્યંત્ર સેનાનીઓ ખરા પણ ભારતની વસતીના કેટલા ટકા ?   મને છેલ્લો શક એજ છે કે, જે દેશને લુંટી રહ્યા છે તેઓ આ ભાડુતી સૈનિકોની નસ્લના જ ઉતાર વંશજો  હોવા જોઇએ, તેમની પાસેથી રાષ્ટ્ર્પ્રેમ કે રાષ્ટ્ર્ધર્મની આશા રાખવી ઠગારી નિવડે તેમ છે. અને  રહી વાત  આપણા જેવા તમાસો જોઇ રહ્યાછે તેમની , ભિષ્મ કે દ્રોણ કે વિદુરજી જેવા લાચાર સજ્જનોની કક્ષામાં આવીએ. બન્ને જાતીઓ અંતે તો અધર્મના પક્ષે જ. મારો છેલ્લો શક ખોટો હોય તો કહેજો.  દેશની પ્રજા જ જાણે ઉતરતી કક્ષાની નસ્લનુ પરિણામ હોય તેવો શક થયા કરે છે.

                       ” જનની જણ તો જણજે, કાં દાતા કાં શૂર, નહીં તો રહે જે વાંઝણી, મત ગુમાવીશ નૂર “  

આ પડકાર તો છેવટે માતાઓને જ છે, કે તેઓએ  કેવા પુત્રો રાષ્ટ્રને આપ્યાં. માતા ન બની હોત તો કમસે કમ આ દેશ માટે બહું મોટો રાષ્ટ્રધર્મ નિભાવ્યાનો સંતોષ તો મળત !

બ્લોગ-૯૧

અમારુ ગટુડુ એટલે મારો પૌત્ર આર્યન, હુલામણા નામે ગટુડુ કહીએ છીએ. નીવૃત્તી પછીની પ્રવૃત્તીના લિસ્ટમાં પૌત્ર સાથે સમય ગાળવાનું સામેલ હતું જ, પણ બ્લોગ લખવાની પ્રવૃત્તી ધીમી પડશે એવો ખ્યાલ ન હતો.  હું આંકડા શાસ્ત્રની જંજાળમાં માનતો નથી, આર્યનનો જન્મ ૯-૯-૨૦૦૯, ટ્રિપલ ૯૯૯ છે, અત્યારે લગભગ સવા વર્ષનો છે, પણ ક્યારેક તેની ઉંમર કરતા વધારે પડતી અસામાન્ય હરકતો જોઉં છું ત્યારે આશ્ચર્ય થાય છે. પાપા પગલી પાડતો ઘરમા દોડે છે, વધારે સ્પીડ પકડે એટલે લડખડાય, પડે, પાછો ઉભો થાય. તેને રમવા માટે ઢગલો રમકડાં છે, પણ એકેય રમકડાને ભાવ નથી મળતો.ભાઇસાબને ટી.વી. નું રીમોટ, મોબાઇલ, પંખા અને લાઇટો ચાલુ કરવાની સ્વીચો, આ બધી જગ્યાએ હાથ મારવામાં જ રસ હોય છે, બહુ સાવચેત રહેવું પડે છે. ટેબલ ખુરશી પર જેવો લેપટોપ લઇને બેસું અને જો એણે જોઇ લીધું તો પત્યું, જોરથી ત્રાડ પાડતો હોય તેમ “એ..દાદા…” બુમ પાડી ને દોડતો આવે, ત્રાસવાદીની ઢબે ધરાહાર મારા ખોળામાં આવીને બેસી જાય, છુટકો જ નહીં, હજી દાદા, મામા જેવા શબ્દો બોલે છે, એક હાથે હું તેના બે હાથ જકડીને પકડી રાખું ત્યારે મેળ પડે નહીં તો કી-પેડ પર હાથ મારે અને એકાદ બટન ઉખાડીને મારા હાથમાં આપી દે. રીમોટ એ.સી.નું છે કે ટી.વી.નું તે બરાબર ઓળખે છે. ક્યું બટન દબાવવું એ ખબર નથી પડતી એટલે ગમે તે બટન દાંત કચકચાવીને દબાવે રાખે, કંઇ મેળ ન પડે એટલે ’ દાદા..દાદા” કરતો મને પકડાવે, એટલે મારી પાસે તે ચીજ ચાલુ કરાવે છુટકો કરે.


મારો પૌત્ર છે એટલે વખાણ કરવા નથી બેઠો પણ મારા દિકરા અને દિકરીના બાળપણ યાદ કરીને તે લોકોને કહું છું કે તમે આટલા સ્માર્ટ નહોતા ! એટલે મારો દિકરો પોતાનો બચાવ કરતા કહે છે ” પપ્પા નવી પેઢી સ્માર્ટ હોય જ ને ! અમે ટી.વી જોવા જેટલા સમજણા થયા ત્યાં સુધી રીમોટ જેવી ચીજ કે મોબાઇલ ક્યાં હતાં ? તમારી જ વાત કરો ને તમે કેટલા સ્માર્ટ હતા ? ” મારે હસતા હસતા ખોટો જવાબ આપવો પડે છે ” હવે કોને પુછીને તને પ્રુફ આપું ? અમે તો રમકડાં પુંઠાના કાતરથી કાપીને હાથે બનાવતા “  મને યાદ છે હું નવેક વર્ષનો હતો ત્યારે મેળા માંથી લીધેલો પ્લાસ્ટીકનો એક હાથી  છેક હમણા સુધી મારા લીંબડીના ઘરમાંથી મળી આવ્યો હતો, ત્યારે ખબર નહી રમકડાની ઘણી જ કીંમત હતી, અત્યારે અમારા આર્યન માટે રમકડું લાવીએ છીએ તે એક બે દિવસમાં જ તેના માટે જુનું થઇ જાય છે. 


એક વાત જરુર છે,આજના બાળકોની આંખોમાં વિસ્મયનું  ખુબજ વિશાળ  જગત ખુલી ગયું છે, જગતને જાણવાની ભારોભા્ર ઉત્સકતા દેખાય છે.  ક્યારેક લાગે છે કે અમારા બાળપણમાં અમે થોડાક ભોટ જેવા હતાં, અત્યારે ભલે જગત સાથે કદમ મિલાવીને ચાલીએ છીએ પણ  લાગે છે કે પરાણે દોડવાનો શ્રમ પુર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્યારેક હું જુવાનીયાઓને બે હાથે મોબાઇલના કી બોર્ડ પર ઝડપથી એસ.એમ.એસ છાપતા જોઉં છું ત્યારે થોડાક પાછળ પડી જવાનો અહેસાસ થાય છે. નવી પેઢીને વિજ્ઞાને વિશાળ વિસ્મય જગત ખોલી દીધું છે. અમારા બાળપણમાં કુદરતના ખોળે ખેલવાનો ભરપુર લ્હાવો હતો. સમય અને ભણતર વિષે કોઇ ટેન્સન ન હતાં. મને યાદ છે અમે કલાકો સુધી શેરીમાં ક્રીકેટ રમી શકતાં, ક્રીકેટ રમતા રમતા એકાદ જણને કુદરતી હાજત લાગે એટલે ક્રીકેટના પાટિયા ઉખડી જતાં, અમારે સ્ટંપની જરુર નોતી પડતી, પછી બધા એક સાથે પાણીના ડબલા ભરીને નદી તરફ પ્રયાણ કરતાં. અને એય મજાના રમતા ગેલગપ્પા મારતા નદીની પેલે પાર વાડીઓમાં ફરતા ફરતા એક બે કલાકે ઘરે પાછા આવતાં. કોઇ ટેન્સન નહીં.  મને યાદ છે મારા ક્લાસમાં ૮૦ કે ૯૦ ટકા લાવવા વાળા હોંશીયાર વિદ્યાર્થીઓ બે કે ત્રણ જ હતાં. પડોશી મિત્રની બા પણ પુછે તો એટલું જ પુછે ” દિનુ, પાસ થઇ ગયો ?, બસ બસ ભગવાનની દયા છે છોકરાઓ ભણે છે એટલે ઘણું ” કોઇ દિવસ કેટલા ટકા આવ્યા એવું પુછ્યું હોય તેવું યાદ નથી.


ખેર નવી પેઢીને ઘણી તડકી છાંયડી જોવાની છે. શીક્ષણમાં વધારેમાં વધારે ટકા લાવવા માટે ઝઝુમવાનું છે. આગળનું બાળપણ કેટલાય ટેન્સન સાથે વિતાવવાનું છે, કેરીયર બનાવવાની હોડમાં ઝંપલાવવાનું છે. આપણે તેમને વારસામાં સડીગયેલ અને ગદ્દાર નેતાઓ ભ્રષ્ટાચારી માણસો, દેશ દાઝ વગરની જનતા આ બધું આપીને જવાના છીએ. પ્રગતી જરુર છે પણ એ તો દોડતી ભીડમાં વગર મહેનતે  જેમ દોડી જવાય તેવી છે. દુનિયાની પ્રગતી સાથે આપો  આપ વગર મહેનતે મળતી રહે છે. બાકી તો ૧૯૮૨ માં અમેરીકા ટ્રેઇનીંગમાં ગયેલા ત્યારે તે વખતે મોલ અને વિશાળ ડીપાર્ટમેન્ટલ સ્ટોરો જોયા હતામ જે અહીંયા આવતા સહેજેય દશથી પંદર વર્ષ લાગી ગયા. ડ્રાઇવ-ઇન એ.ટી.એમ બુથ જોયેલા, કારમાં બેઠાં બેઠા જ ઓપરેટ કરી શકો, ભારતમાં મેં હજી ક્યાંય જોયું નથી. કહેવાનો મતલબ આપણી પ્રગતી ગોકળ ગાય જેવી છે.


ખેર આપણે ફક્ત નવી પેઢીને જિંદગીમાં ઝઝુમવાની સાચી સમજ અને શક્તિ મળે  અને દેશની જનતાનું માનસ રાષ્ટ્રના ઉત્કર્ષમાટે વળે અને નવી પેઢી ક્ષેમકુશળ જિંદગીમાં પગલામ માંડી શકે એવી  શુભેચ્છાઓ આપી શકીએ.


બ્લોગ-૯૦

વિસર્જન…

( રુસના તડીપાર થયેલા અને નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક સોલ્ઝેનિત્સીનની એક વાર્તા વાંચી હતી ” ઇસ્ટર શોભા યાત્રા ” આ વાર્તાનો સંદેશ આપણા મૂળ ઉદ્દેશ ચુકીને ઉજવાતા ધાર્મિક ઉત્સવોને એટલો જ લાગુ પડે છે. વાર્તાના મૂળ ભાવને પકડીને આ વાર્તામાં અનુભવેલી વાસ્તવિકતા રજુ કરવાની કોશિષ કરી છે. )

દર વર્ષની જેમ આ વખતે પણ સોનવાડીના ગણપતિની શાન હતી. રોજ લાખો માણસોની ભીડ અને દર્શન માટે લાંબી લાંબી લાઇનો લાગતી.- ” આ ગલીના ગણપતી ઇચ્છાપુર્તી ગણપતીઓ માનાં એક ગણાય છે ” એક ભાવુક બોલ્યો.

બે ત્રણ જાતની લાઇનો શેની છે ? ” એક નવા આગંતુકે પુછ્યું. – તમે નવા લાગો છો ! ભીડમાં ઉભેલા એક માણસે જવાબ આપ્યો-” એક લાઇન વી.આઇ.પી લોકો માટે છે. એક લાઇન સો રુપિયા વાળી છે, એક બે કલાકમાં તમારો વારો આવીજાય, નજીકથી દાદાના દર્શન થઇ જાય. જુઓ પેલા વી.વી.આઇ.પીની લાઇન જ નથી, તે શહેરના એક પાર્ટીના પ્રમુખ નેતા અને તેમનું ફેમિલી છે, તેમને સીધા દાદાના દર્શન માટે લઇ જવાશે. છાપામાં ફોટાઓ તો જોતા હશો. શહેરમાં તોડફોડ અને બંધ જેવા બનાવો વખતે તેમની પાર્ટી બહુ જ આગળ પડતી હોય છે. આ ગણપતીનો ભંડોળ કેવી રીતે ઉભો કરાય છે ખબર છે ?”  – નવો આગંતુક સાંભળતો રહ્યો-” થોડોક ખ્યાલ છે.”  માથુ ખજવાળતા તે બોલ્યો – ” આ ગણપતી છે ને ! પેલો પ્રખ્યાત અંડરવર્ડ ડોન નથી ? સાલુ પોટ્ટી ? તેના માણસો કરે છે. અહીંથી સાત આઠ કીલોમિટર  સુધીના એરીઆમાં તેની આણ છે, નાના મોટા બધાજ દુકાનદારો પાસે તેના માણસો હપ્તા ઉઘરાવે છે. ગણપતીનો ફાળો તો અલગ જ”  આગંતુક કટાક્ષમાં બોલ્યો  – “વાહ વાહ સરસ… ગણપતી બાપ્પા મોરીયા…”

આજે ગણપતી બાપાનું વિસર્જન છે. ભીડ એકઠી થતી જાય છે. રસ્તા પર ખીચો ખીચ ભીડ છે, બે ત્રણ આધેડ ઉમરની બાઇઓ એક બંધ દુકાનના ઓટલે ચડી આ બધો નજારો જોઇ રહી છે. ભીડમાં જવાની તેમની હિંમત નથી. તેઓ અંદરો અંદર ધીરે અવાજે વાતો કરી રહી છે. ” આ વખતે તો બાપ.. શાંતિ છે !  ગઇ વખતે ખબર છે ને ! સામેના મહેલ્લાના ગણપતી પહેલા નીકળે કે આ મહેલ્લાના તે બાબત ઝઘડો થયો હતો ! ચાકુ, છરી ઉડેલા ! પોલિસ આવી ત્યારે મામલો થાળે પડ્યો હતો ! ” બીજી બાઇએ ટહુકો પૂર્યો- ” અમારી ગલીના ગનુ કાળ્યાને લમણે નિશાન નથી ? હા..ઇ..બોલો તે દિવસનું જ છે, સામેની ગલીનો બંડ્યો નથી તેને ચાકુના ઘા ઝીંકેલા, પાચ મહીના જેલમાં હતો ! જુઓ જુઓ એ સામે જ ઉભો છે, નામ લીધુ ને શયતાન હાજર, છે ને નફકરો ! “

એક બાઇ બોલી ” જુઓ જુઓ આ બે ત્રણ છોકરીઓ ફિલ્મી સ્ટાઇલના કપડા પહેરી આમથી તેમ આંટાજ માર્યા કરે છે ! સામે ગલીના નાકે રોમિઓ જેવા લફંગાઓ નથી ઉભા ? તેમને ચાઇ કરીને ઉશ્કેરી રહી છે ! ” – બીજી બાઇ બોલી ” બાપ રે.. આજ કાલની છોકરીઓ છોકરાઓને સામેથી છેડતી કરે એવી હોય છે, ઇ બધીયું કાંઇ આપણી જેમ ભક્તિ ભાવથી થોડી આવીયું છે ? “

ત્રીજી બાઇ બોલી- ” સામે ઉભેલા એ બધા છોકરાઓ દારુ પીને આવેલા છે, હંમણા વિસર્જન નીકળશે એટલે તેઓ ગુલાલ ઉડાડશે, નાચશે, છોકરીઓની છેડતી કરશે, આગળ પેલો સફેદ સફેદ કપડામાં દાઢી વાળો કપાળમાં ટીલું તાણેલો નથી દેખાતો ! તે આ બધા છોકરાઓની ગેંગનો લીડર છે ! “  – એક બાઇ બોલી દેવા રે દેવા…. ધરમતો સાવ ખાડે જ ગયો છે, દારુ, નાચવું મારામારી… છી..છી. “

બે ત્રણ બુધ્ધીજીવીઓ પણ આ બધો તમાસો જોતા હતા, એક પીઢ માણસ બોલ્યો ” તમને આ આખી પ્રક્રિયામાં ધર્મ જેવું કંઇ દેખાય છે ?  તમને એક વાત કહું ? ધર્મ જ્યારે વ્યક્તિ સુધી હોય છે ને ! તેને આધ્યામિકતા કહેવાય, જ્યારે પરિવારમાં ધર્મ હોય છે ત્યારે તે સંસ્કારનું અને પ્રેમનું સિંચન કરે છે અને જ્યારે ધર્મ ગલીઓ અને રસ્તા ઉપર આવે છે ને ? ત્યારે આવા લફંગાઓ અને લુચ્ચા લોકોના હાથમાં જઇ પડે છે, તેઓ બધા સુત્રો પોતાને હાથ કરી લે છે. મારા તમારા જેવાનું કઇં ઉપજવાનું નથી ! ગમ્મે તેટલો બળાપો કરશો તોય કંઇ ચાલવાનું નથી, ચાલો  હજી વિસર્જન નીકળતા નીકળતા એક બે કલાક નિકળી જશે. તોડફોડ્યા પક્ષના નેતા જ્યાં સુધી નહીં પધારે ત્યાં સુધી ગણપતી બાપા નહીં નીકળી શકે ! “   ચલો ત્યારે .. મોડુ થાય છે, હવે પુડચ્યા વર્ષી …ગણપતી બાપા..  મોર્યા…

બ્લોગ-૮૯

હે ઇશ્વર..

ઇશ્વર વિષે મને કંઇ પણ કહેવાનો અધિકાર નથી. ઇશ્વર શબ્દ લઇ હું પોતે જ હજારો પ્રશ્નોનોની કતારમાં ઉભો છું. ઇશ્વરના દુશ્મન થવાની વાત તો સાવજ વાહિયાત છે. પુરાણ કથાઓમાં ઇશ્વરો, આસુરી શક્તિ વાળા રાક્ષસો જોડે વર્ષો સુધી તુમુલ યુધ્ધ કરતા કરતા  પરેશાન થઇ જતાં, છેલ્લે વિજયી થતાં  તેવું સાંભળ્યુ છે અને વાંચ્યું છે. આપણા ઇશ્વરો હંમેશા શસ્ત્રસજ્જ હોય છે અને તેવા ઇશ્વરની કલ્પના આપણને રુચે છે. જીત તો હંમેશા સત્યની જ હોય છે. ઇશ્વરના ઘરે દેર છે,અંધેર નથી, સમયથી પહેલા અને નસીબથી આગળ ક્યારે પણ કોઇને મળતું નથી, જેવા જાતને મનાવવા નવા નવા સુત્રો ઘડી કાઢી છીએ, સાંભળતા રહીએ છીએ અને સંભળાવતા રહીએ છીએ. શ્રધ્ધાના પોટલા ઉઠાવી ઉઠાવી લાંબી લાંબી લાઇનમાં જોડાઇ જઇએ છીએ. ક્યારેક શંકરના મંદિર સુના પડ્યા હોય છે અને બાજુમાં આવેલું સાંઇબાબાનું મદિર હેકડેઠઠ્ઠ ભીડ વાળું હોય છે. બહાર ઉભેલા ભિખારીઓને બે બે પૈસા ફેંકી,પોતાની જાતને મોટા દાનવીર સમજીએ છીએ, આપણી પાસે અંદરના દેવને રીઝવવા ઢગલો સોનું હોય છે.

જો આપણે દ્રઢ્ઢ પણે એક જ વિચારને માનતા હોઇએ કે ઇશ્વરની ઇચ્છા વગર પાંદડુ પણ હલતું નથી, તો પછી આપણે બિંદાસ્ત બની, બધું ઇશ્વર પર છોડી  આરામ કરવો જોઇએ. પણ નહીં, કર્મના સિધ્ધાન્ત વાળા માથું ખઇ જશે ! કર્મના સિધ્ધાન્ત વાળા એક ભાઇને મેં કહેલું, એક ગામના ગુંડાને, ગીતાના સંદેશ પ્રમાણે ધર્મરક્ષા કાજે, હું અર્જુનની જેમ ગામ વચ્ચે વધ કરીશ, ગામને તેના ત્રાસથી છોડાવીશ, કાયદાથી મને છોડાવવા ક્યો કર્મવાદી પડખે ઉભો રહેશે ? હસવા જેવી લાગતી વાત ઘણી જ ગંભીર છે. ઇશ્વરથી વધીને પણ કોઇ આસુરી શક્તિનું હોવું કે માનવું મૂર્ખતા ભર્યું લાગે છે.ઇશ્વર વિષે જાત જાતના ભ્રમો લઇ જીવી રહેલી માણસ જાત, તોબા તોબા,  હે ઇશ્વર….

શ્રી કીર્તિકાન્ત પુરોહીતની રચનાઓની પંક્તિઓ ટાંક્યા વગર રહી શકતો નથી.

                     તું સલામત રાખજે બ્રહ્માંડને ઇશ્વર,

                    માનવીનું નભ ઉછળવું સાવ સહેલું છે          

                                                                          – કીર્તિકાન્ત પુરોહિત                 

વીજ થઇ ઇશ્વર કદી વ્યક્ત થવા તત્પર થતાં,

અંધશ્રધ્ધા જોઇને એ ગ્રીડમાં અટકી જતાં.

                                                       – કીર્તિકાન્ત પુરોહીત

કાન ખુલ્લા રાખી ચોતરફ ઇશ્વર વિષે શું શું કહેવાય છે ? તે સાંભળ્યા કરું છું, તે પછીની ગડમથલ ચાલે રાખે છે. ઇશ્વર શબ્દ એક સૌથી મોટું આશ્ચર્ય છે, ઇશ્વરના માટે લોકો કેવા કેવા ખયાલોમાં રાચે છે તે તો એથીયે વધારે મોટું આશ્ચર્ય છે.  આજ સુધી પૃથ્વી નામના ગ્રહ પર માનવી નામનું પ્રાણી ઇશ્વર વિષે એક મત થઇ શક્યું નથી ! ઉપરથી આ જ મુદ્દે ગળાકાપ ગાંડપણ ચાલે રાખે છે.જેમ વિજ્ઞાનના નિયમો વિષે આખી દુનિયાનો માણસ એક છે,એકમત છે તેમ ઇશ્વર વિષે માનવી એકમત કેમ નથી થતો ?

આદમ, ના પાડવા છતાં ફળ ખાઇ ગયો ! અને ઇશ્વર ઉપાધીમાં આવી ગયો. મને લાગે છે  કે માનવીના આ દોઢડહાપણ પછી ઇશ્વરે તેના પર ભરોસો  છોડી દીધો  હશે. તે દિવસથી ઇશ્વરે આદમનો હાથ છોડી દીધો  હશે. બધા જ ડહાપણો તારી રીતે કરતો રહે, તારી ઉપાધીઓનો ઉકેલ તું જ શોધજે.

અને જાહેર છે, અત્યારની લગભગ સમસ્યાઓ ઇશ્વરના હાથમાં નથી જ નથી ! મોંઘવરીનો ઉકેલ ક્યો ઇશ્વર લાવી શકે તેમ છે ? વધી રહેલી ગુનાખોરી,  શોષણ, બલાત્કાર, ક્યા ઇશ્વરને પડી છે ? લંપટ અને ગેંડાની ચામડી જેવા રીઢ નેતાઓથી આ દેશને ક્યો ઇશ્વર બચાવી શકે તેમ છે ? ક્યા યુગ સુધી આપણે ઇશ્વરના સંભવની રાહ જોવાની છે ?

માનવી, ડુબતો માણસ જેમ તરણુ પકડે તેમ  ઇશ્વરને શોધવા અડવડીયા ખાતો હોય છે, જે હાથ લાગ્યું તે પકડી ઇશ્વરને જોવાની ( સમજવાની નહીં )અને તરી જવાની ગડમથલ કરતો હોય છે. અને મોટે ભાગે તેને તરણા જ હાથ લાગે છે. ઇશ્વરના એજન્ટોની દુકાનો ખુલતી જાય છે. ઇશ્વર સાથે જાણે સીધો સંબંધ હોય તેવી વાતો કરી ઇશ્વર વિષે જાત જાતના ભ્રમો ફેલાવે છે.  

 દેહ જો નશ્વર ન હોત તો ઇશ્વર વિષે જાણવાની કોઇ બહુ દરકાર ન કરત.નશ્વર દેહની વ્યાધીઓ ન હોત તો ધાર્મિકતાની ઉપાધીઓ પણ ન હોત. વિનિમય વ્યવસ્થા શરુ થઇ અને અર્થ-વ્યવસ્થામાં પરિણમી,પછી સમૃધ્ધી આપે તેવા દેવોની કલ્પના અસ્તિત્વમાં આવી. અર્થ-વ્યવસ્થા, અને તેની અટપટી વિતરણ પધ્ધત્તીઓ માનવી જ નક્કી કરતો રહ્યો. આ વ્યવસ્થા જ્યારે ખોટા લોકોના હાથમાં જઇ પડી ત્યારે સમૃધ્ધીથી વંચિત રહી જનારા બીચારા દેવો તરફ તાકીને ઉભા રહેવા લાગ્યા. આર્થીક સમસ્યાને પાપ પુણ્ય સાથે નીસ્બત છે તેવું માનવાને માણસ મજબુર થવા લાગ્યો . પ્રકૃતી દત્ત જીવન પોષક વસ્તુઓ પર માણસ અધિકાર જમાવવા લાગ્યો, જમીનો પર લીટા તાણીને માનવીએ આખી પૃથ્વીને વહેંચી નાખી. માલિકી ભાવ શરુ થયો, પછી દેશો, સરહદો, યુધ્ધો, કબીલાઓ, રાજાઓ, રાજનીતી, સરકારો અને ઘણા બધા ઇશ્વરો…

અમારો ઇશ્વર જ સાચો, ઇશ્વરનો કોઇ અવતાર ન હોય, કોઇ આકાર ન હોય, અણદેખ્યા ઇશ્વરની વાત લઇ, તલવારો લઇને લોકો નીકળી પડ્યા, આખી પૃથ્વી ધમરોળી નાખી. અમે ભુલા ભટકેલાઓને રાહ પર લાવીશું, તલવારની અણી ઉપર ધર્મ બેસી ગયો. અમારો ઇશ્વર કોઇને માફ નથી કરતો.

મધર ટેરેસાનું એક વાક્ય યાદ આવીગયું- ” આપણે જેમને દેખી શકી છીએ તેવા માનવીઓને જો પ્રેમ ન કરી શકતા હોઇએ, તો જે ઇશ્વરને આપણે કદી જોયો નથી તેને કેવી રીતે પ્રેમ કરી શકશું “ 

અમારો ઇશ્વર હજાર હાથ વાળો, જવાન બુઢ્ઢા કોઇ પણ શરીરમાં અવતાર લે, .સંસારી બને, ઇશ્વરોના પરિવારો અને કુળો. ઘણા બધા ઇશ્વરો, અમે ઇશ્વરોને મનગમતા આકાર આપી શકીએ, મનગમતા ઇશ્વર પસંદ કરી શકીએ. અમારો ઇશ્વર ભલો, બધી જ છુટ,જે ખાવું હોય તે ખાવ, પીવું હોય તે પીઓ. ઇશ્વર વતી અમે જ બધુ નક્કી કરી લઇએ.  ભુલથી કોઇ પંડીત લખી ગયો ” जीवो जीवस्य् जीवनम् । ” ખલ્લાસ, પવિત્ર દિવસો છોડી અમારે જે ખાવું પીવું હોય તે ખાઇએ, માંસાહાર પણ કરીએ ! અમારો ઇશ્વર અમને ક્યાંય નડે નહી !

માંસાહાર કરતા માનવીઓને જોઉં છું અને ઇશ્વર વિષે શ્રધ્ધા ઉડી જાય છે. પ્રકૃતીના નિયમથી વિરુધ્ધ જઇ, જાનવરોને મોતને ઘાટ ઉતારવાનો અધિકાર ક્યો ઇશ્વર આપે છે ? મને આજ સુધી કોઇએ જવાબ આપ્યો નથી. ગયા વર્ષે શ્રાવણ મહીનો પુરો થયો ત્યારે તા.-૨૦-ઓગષ્ટ-૨૦૦૯ ના એક બ્લોગ લખ્યો હતો. ” મુર્ગીઓ સાવધાન, શ્રાવણ ગેલા ” અને એક રચના પણ બની ગઇ હતી.

    મુર્ગીઓને માછલીના ઇશ્વરો હોતા નથી,  બકરીઓ સામે કદી, કોઇ ખુદા જોતા નથી.

સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી થયેલા, નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક ’હરમન હેસ ’ એક પ્રોટેસ્ટેંટ ધર્માવલંબી પરિવારમાં જન્મ્યા હતાં, પરિવારની ધાર્મિક માન્યતાઓ સાથે લગભગ અસંમત રહેતાં. એક વખત તેમના પિતાજીના એક દોસ્ત સાથે પોતે વિદ્રોહી મત ધરાવે છે તે બાબત ચર્ચા થઇ. ત્યારે તેમણે પિતાના મિત્રને એક દલિલ કરી- ઇશ્વર જો વિદ્યમાન છે અને બધાજ કામ તેની મરજી મુજબ થાય છે તો ફક્ત સારા કર્મોની જવાબદારી જ કેમ લે છે ? ખરાબ કર્મોની જવાબદારી ઇશ્વર કેમ લેતો નથી ?. જવાબ ગોળ ગોળ હતો એટલે લખ્યા વગર જ છોડું છું.

અમારો ઇશ્વર દયાળુ છે, સૌને માફ કરે છે, તમારો ધર્મ છોડીને અમારી સાથે આવો, ફક્ત તમારે પ્રાર્થનાઓ કરવી પડે, You have to confess. આવો અમારી સાથે, માફી માગો. અમારા ઇશ્વરને માનો.

નિત્શેનું એક વિધાન વિચાર કરતા કરી દે તેવું છે. -” માણસ ઇશ્વર નથી બની શકતો, કારણકે માણસને પેટ છે. ઇશ્વરને બીજા ઇશ્વર સાથે જીવવું નથી પડતું. માણસને બીજા માણસ સાથે જીવવાની બહુ મોટી સજા છે. આ સજા માણસને ઇશ્વર સુધી પહોંચવા નહીં દે”.

ઈશ્વર તું હવે વૃધ્ધ થઇ ગયો છું ! તારા હાથમાં હવે કંઇ નથી, તે આદમનો હાથ છોડ્યો તે તારી મોટી ભુલ, બે પગ વાળો માનવી તને જોયા વગર તારા વિષે કંઇ પણ કહેતો રહે  તે વાત પર મને વિશ્વાસ નથી, જો કોઇ કહેતું હોય કે માનવજાતને સીધી રાખવા માટે આ બધા નુસ્ખાઓ છે, તો હું એમને એમ સીધો રહેવા અને જીવવા તૈયાર છું.  

બ્લોગ-૮૮

ચહેરો

( સાહિત્ય,જે તે દેશની કુંડળી હોય છે, જે તે દેશના સમાજનું દર્પણ હોય છે, જેમ આપણા દેશનું સાહિત્ય, દહેજ પ્રથા, અછૂતોની સમસ્યા, નારી શોષણ કે દેશના વિભાજન પછીની સમસ્યાઓ પર પ્રકાશ ફેંકે  છે તેમ વિશ્વના સાહિત્ય પર નજર કરતા ખ્યાલ આવે છે વિશ્વયુધ્ધો  પછીની સમસ્યાઓ, લોહીયાળ ક્રાંતિઓ, સામ્યવાદી  વિચારધારાની જડતા અને લોખંડી સત્તા,સામ્યવાદની જડતાનો કાલ્પનિક ભય આ બધું.- જર્મનીના ૧૯૭૨ માં નોબલ  પુરસ્કાર મેળવનાર  લેખક શ્રી હાઇનરિખ બ્યોલની વાર્તાનું સંક્ષિપ્ત રુપ )

ચહેરો

હું સમુદ્ર કિનારે બંદર પર ઉભો હતો, સમુદ્રી પક્ષીઓ પાણીમાં ડુબકીઓ મારતા હતાં અને થોડું થોડું ઉડતા હતાં. થાકીને જાણે ઉડવા માટે આગળનો રસ્તો શોધતા હોય. મને થયું કે ક્યાંકથી જો એક રોટીનો ટુકડો મળી જાય તો તેના નાના ટુકડાઓ કરી એ પક્ષીઓને ખવડાવત, જેથી તેઓમાં સ્ફૂર્તી આવે અને આગળ ઉડી શકે. પણ હું પોતે જ ભૂખ્યો અને થાકેલો હતો. અંતે પેન્ટનાં ખાલી ખીસ્સામાં હાથ નાખી અને દુ:ખ સાથે તેમને જોઇ રહ્યો ત્યાં જ અચાનક મારા ખભા પર કોઇએ હાથ રાખ્યો. પાછળ વળીને જોયું તો એ પોલીસ હતો. મેં ખભા પરથી હાથ હટાવવાની કોશિષ કરી.

“કેમ છો કોમરેડ ? ” -તેને મારા ખભાને વધારે કચકચાવીને પકડ્યો. મે કહ્યું ” સાહેબ !”. -કડક અવાજમાં તે બોલ્યો ” હવે કોઇ સાહેબ બાહેબ નહીં, આપણે બધા જ હવે કોમરેડ છીએ”  -  ” પણ મારો વાંક શું છે”.  -તે ખંધુ હસવા લાગ્યો. ” વાંક ? , તારો ચહેરો, તારો ઉદાસ ચહેરો !” -  મને  હસવું આવીગયું. ગુસ્સો કરીને તે બોલ્યો ” આ હસવાની વાત નથી “. તે કડક થતો ગયો. મને થયું આજે તેને કોઇ બકરો મળ્યો નથી લાગતો. કોઇ પાકીટ-માર કે લથડીયા ખાતો કોઇ શરાબી. આગળ કંઇ વિચારુ તે પહેલા તો તેણે મને ડાબા હાથમાં હાથ-કડી પહેરાવી દીધી. 

હવે પછીની બરબાદ જિંદગીનો મને ખ્યાલ આવી ગયો. સમુદ્રના પાણી તરફ નજર ગઇ, પોલીસની ચુંગાલમાં ફસાવું, ઢોર માર ખાવાનો અને કાળ કોઠરીમાં સડવાનું. દરિયામાં ડુબી મરવાથી પણ વધારે ભયંકર. તેણે મને એક જ ઝાટકે પોતાની તરફ ખેંચી લીધો. હું હેબતાઇ ગયો હતો ” પણ મારો વાંક શું છે ? “.  – ” કાનુન પ્રમાણે બધા લોકો હંમેશા ખુશ દેખાવા જોઇએ ! ” તે કડક શબ્દોમાં બોલ્યો.  - ” પણ મેં આવા કાયદા વિષે ક્યારેય સાંભળ્યુ નથી ” મે કાકલુદી ભર્યા શબ્દોમાં કહ્યું. – ” કેમ નથી સાંભળ્યું ? આ કાયદાને લાગુ થયા છત્રીસ કલાક થઇ ગયા છે. અને દરેક કાયદો ઘોષણા થયા પછી ચોવીસ કલાકમાં અમલમાં આવી જાય છે.”-  ” ખરે ખર આ વિષે મને કંઇજ ખબર નથી ! ” મેં ફરી તેને સમજાવવાની કોશિષ કરી.- ” આ કાયદા વિષે બધા સમાચાર પત્રોમાં છપાઇ ગયું, લાઉડ-સ્પીકરોથી પણ જાહેર કરવામાં આવ્યું છે, મિ. કોમરેડ, છત્રીસ કલાકથી તું ક્યાં હતો ? “

તે મને ઘસડીને અને ધક્કા મારીને લઇ જવા લાગ્યો. મને ખુબ જ ભૂખ લાગી હતી અને ઠંડી પણ લાગી રહી હતી.-  ” તારા ફાટેલા કપડા જો ! દાઢી નથી કરી ! જ્યારે નીયમ પ્રમાણે બધા જ કોમરેડે સારા કપડા પહેરવા જોઇએ અને અપ-ટુ-ડેટ રહેવું જોઇએ.”

સડક પર ચાલતા દરેક લોકો ના ચહેરા પર આનંદનુ નકલી મહોરું હતું. પોલીસને જોઇને તે મહોરું વધારે મલકાતું . મને અંદાજ આવી રહ્યો હતો કે તેઓ ચતુરાઇ પૂર્વક જલદી જલદી ખસકીને ઘર, ગોદામ કે કોઇ કરખાનામાં સલામત જગ્યાએ પહોંચી જવાની કોશિષ કરતા હતાં, જેથી કરીને પોલીસની નજરે ન ચડાય.

એક જગ્યાએ ચાર રસ્તા પર એક આધેડ વયની ઉમરનો માણસ જલદીથી ખસકી નશક્યો, શિક્ષક હશે તેવું લાગ્યું, અમે તેની એકદમ નજીક પહોંચી ગયા. હવે તેને કાયદા પ્રમાણે જે કરવું પડે તે કરવાને મજબુર થઇ ગયો. તેને પોલીસને ઝુકીને સલામ કરી અને ફર્જ નિભાવવા માટે તે મારા પર ત્રણ વાર થુક્યો ” રાષ્ટ્રદ્રોહી ! સુવર ! ” -તેને ફર્જ અદા કરી.પણ હું જોઇ રહ્યો હતો, તેનું ગળુ સુકાઇ રહ્યું હતું. મેં ફાટેલી બાંયોથી થૂંક લુછવા કોશિષ કરી, પાછળથી પોલીસનો એક જોરદાર ઘુસ્સો આવ્યો.” જો આ પહેલો દંડ ” -મતલબ કે હજી તો શરુઆત હતી.

પછી મને એક જગ્યાએ લઇ જવામાં આવ્યો. મને ખ્યાલ આવી ગયો આ કોઇ કરખાનાનો ગેઇટ છે, હવે પહેલી પાળીના કામદારોને છુટવાનો સમય છે. કામદારો હવે ખુશ દેખાવા માટે પોતાના હાથપગ અને ચહેરા બરાબર ધોઇ સાફ કરી અને બહાર નીકળશે. બહાર નીકળે એટલે કાયદા પ્રમાણે તેમના ચહેરા પર કામ કર્યાનો સંતોષ દેખાવો જોઇએ, વધારે પડતી ખુશી દેખાયતો તેનો મતલબ એવો થાય કે કામથી કંટાળીને છુટકારો મળ્યાનો આનંદ છે. એ વાતનો પણ બરાબર ખ્યાલ રાખવો પડે. હા, કામ પર જતી વખતે જરુર વધારે આનંદ હોવો જોઇએ, એકાદ ગીતની કડી પણ ગણ ગણી શકાય જેથી તેની ઓળખ એક સાચા અને પાક્કા કોમરેડમાં થઇ શકે. મને થયું કે હવે જો કારખાનાની પાળી છુટશે તો બધા જ કામદારો કાયદા પ્રમાણે જતાં જતાં મારા પર ત્રણ વાર થુકશે, ’રાષ્ટ્રદ્રોહી, સુવર’ જેવી ગાળ આપશે.

સદભાગ્યે તે મને બાજુ માં પોલીસ ચોકી હતી ત્યાં લઇ ગયો, ત્યાં લઇ જઇ અને મારી ખુબ જ ધોલાઇ કરી. પછી પોલીસ ચોકીના મોટા અધિકારી પાસે લઇ ગયો.  પોલીસ અધિકારીએ મને સવાલો પુછવા શરુ કર્યા.

કામ શું કરે છે ? -  મે કહ્યું ” સાધારણ કોમરેડ છું.”

છેલ્લા દિવસોનો  રેકોર્ડ શું ?  – મેં કહ્યું ” કેદી હતો “  -તેઓ  બન્ને એક બીજા સામું જોવા લાગ્યા.

કઇ જેલમાં હતો ? – મેં કહ્યું ” જેલ નં-૧૨,  કોટડી નં -૧૩૦, કાલે જ છૂટ્યો . ”- મેં ફાટેલા ખીસ્સામાંથી જેલથી છૂટયાના દસ્તાવેજી કાગળો બતાવ્યા.

ક્યા ગુનામાં પકડાયો હતો ? -” મારો ચહેરો, મારો ખુશી ભર્યો ચહેરો.”- બન્ને આશ્ચર્યથી ફરી એક બીજા સામું જોવા લાગ્યા.

અધિકારી ગુસ્સામાં લાલચોળ થઇ ગયો- ” સાલા સાફ સાફ બોલ ને ! “ 

 ” હા, ત્યારે કોઇ મોટા કોમરેડ નેતાનું અવસાન થયું હતું અને રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો, એક પોલીસના કહેવા મુજબ તે દિવસે  મારા ચહેરા પર શોક દેખાવો જોઇએ તેના બદલે થોડી ખુશી દેખાતી હતી !”

-  ” પછી ! “-  “પછી શું, મારા તે ગુના બદલ મને છ મહિનાની કેદ મળી હતી. “

- ” હં, ફરી ફરી એવો જ ગુનો, રીઢો ગુનેગાર થઇ ગયો છે, જા, આ વખતે એક વર્ષની સજા ફટકારવામાં આવે છે.”

હે ભગવાન, મને થયું કાશ.. હવે જ્યારે જેલથી છુટું ત્યારે મારો કોઇ ચહેરો જ ન રહે, ન ખુશી, ન દુ:ખ ! આ બધી ઉપાધીઓ ચહેરાને લઇને જ છે.

બ્લોગ-૮૭

( રથયાત્રા ની સાથે જોડાયેલી એક સત્ય ઘટના ગઇ કાલે જ જાણમાં આવી અને હ્રદય હલી ગયું )

સવારે સર્વિસ પર જતાં પહેલા રાબેતા મુજબ સાત વાગ્યે હું અને મારા પત્નિ ગેલેરીમાં બેઠાં ચા પીતા હતાં, પંદરેક મિનીટનો ટાઇમ સવારે ફાળવી શકાય છે. પછી તો સર્વિસ પર જવાની તૈયારી શરુ થઇ જાય. પત્નિ હર્ષા કંઇક વાતની શરુઆત કરે અને ઘણી વખત ફરિયાદ પણ કરે કે  હંમેશા મારે જ બોલ બોલ કરવાનું ?  ગઇકાલે સવારે  તેને યાદ કરાવ્યું, કાલે અષાઢી બીજ છે, અમદાવાદમાં રથયાત્રા નીકળશે, અને અમદાવાદમાં ગાળેલો  ૧૯૬૮ થી ૧૯૮૨  સુધીનો સમય એકદમ નજર સામે તરવરી ગયો. મિલોના ભૂંગળા (ચિમનીઓ), પહેલી પાળી, બીજી પાળી, રાતપાળી અને મિલો્ની પાળી છુટવાની સાયરનો ( અમે તેને પણ ભૂંગળુ વાગ્યુ ) જેવો શબ્દ પ્રયોગ કરતા. મિલોની પાળી છુટે એટલે ધોતીયા અને ઝભ્ભા પહેરેલા કામદારો સાયકલો લઇ ટોકરી વગાડતા વગાડતા હજારોની સંખ્યામાં ઘરે જતા જોવા મળે. આજથી પચ્ચીસેક વરસ પહેલા અમદાવાદની જાહો-જલાલી કંઇક અલગ જ હતી. આજે અમદાવાદનો ઘણો વિકાસ નજરે ચડે છે પણ જુની જાહો-જલાલી તો કંઇક ઓર જ હતી. રથ યાત્રા ઘણી વખત જોયેલી. તે  દરમિયાન ઘણી વખત થતાં કોમી છમકલાઓ પણ યાદ છે.

મૂળ ઘટના, જે પત્નિ હર્ષા પાસેથી આજે જાણવા મળી તે તો એક કરુણાંતિકા જેવી છે. હર્ષાએ કહ્યું ” બાપા -ન્યુ કોમર્સીયલ મિલમાં નોકરી કરતા, એતો તમને ખબર છે ને?” મે કહ્યું ” હા એતો ખબર જ હોય ને, તારા બાપા મારા સસરા થાય કે નહી ?- ” તેમની સાથે લાભુ ભાઇ કરીને એક ભાઇ નોકરી કરતાં, અમે તેને લાભુમામા કહેતા. અવાર નવાર ઘરેપણ આવતાં. બા, બાપાને કહેતાં – “લાભ્ભઇની જેમ તમે પણ સત્યનારાયણની કથા કરવા જતા હોય તો ? ” બાપા લાભુમામા ઉપર ખીજાતા- “સાલા, તારે કાયમ અમારી વચ્ચે ઝઘડા જ કરાવવાના ?” લાભુમામા જાય પછી બાપા બાને કહેતાં,તને ખબર છે ? ઇ તો મિલમાંથી પેન્સીલ ને કાગળો ને, જે મેળ પડે તે બધું ઘરભેગું કરે છે, બોલ હું આ બધું કરું તો તને સારું લાગશે ? ” બા કહેતા – એવું આપણે શું કામ કરવું જોઇએ ?” - પણ કથાની વાત તો પકડી જ રાખતાં. “

લાભુમામાને બે છોકરા અને બે છોકરીઓ હતી. એક છોકરો પ્રહલાદ થોડો ખેપાની અને મારફાડ હતો.”  મામી કહેતા અમારો બકલો ( પ્રહલાદ ) રથયાત્રાના એક ખટારામાં(ટ્રકમાં) હોય, હોય ને હોય જ. રથ યાત્રામાં ઘણી બધી ટ્ર્કો સામેલ હોય છે. ટ્રકો જુવાનીયાઓથી ખચાખચ ભરેલી હોય. જવાનીયાઓએ માથા પર ”જય જગન્નાથ”  ” જય રણછોડ”  લખેલી કેસરી પટ્ટી લગાવેલી હોય અને રસ્તા પર ઉમટેલા માનવ મહેરામણને પ્રસાદી વહેંચતા હોય. અમે પણ દરિયાપુર જ્યારે રથ યાત્રા આવે ત્યારે બકલો કઇ ટ્રકમાં છે એ જ ગોતતા, અને બકલો અમને જોઇ જાય એટલે હાથ ઉંચો કરી ગેલમાં આવી જતો. ગમ્મે ત્યાં ગયો હોય રથયાત્રામાં બકલો તો હોય જ, જ્યાં હોય ત્યાંથી આવી જાય. – મે કહ્યું “પછી ? આગળ તો બોલ ” – હર્ષા બોલી એક વાર મામી કંઇક બાતમાં તેને વઢ્યા હશે, ઘર છોડીને ભાગી ગયો, કોઇ કહે મુંબઇ જતો રહ્યો કોઇ કહે દિલ્હી, પણ તેના કોઇ ખબર અંતર જ નહીં. ઘણા દિવસો તેની શોધખોળ કરી, છાપામાં છપાવ્યું, પણ કોઇ ભાળ મળી જ નહીં. અષાઢી બીજ આવે એટલે મામી અને લાભુમામા બિચારા રથયાત્રામાં બકલો દેખાય છે કે નહીં તે જ જોયા કરતા. કહેતા અમારો બકલો રથયાત્રામાં તો હોય જ, ગમ્મે તેમ કરીને તે આવે , તમે લોકો પણ જરા ધ્યાન રાખજો. વર્ષો વીતતા ગયા, રથયત્રાઓ નીકળતી ગઇ પણ બકલો ક્યારેય દેખાયો નહીં. – મેં કહ્યું મામા અને મામી ? -  ” એ તો બન્ને ગુજરી ગયા તેને સાત આઠ વર્ષ ઉપર થઇ ગયું હશે ” -  મને થયું આજે અમદાવાદમાં આષાઢી બીજની રથયાત્રાની વાટ લાભુમામા અને મામી જેટલી બે-સબ્રીથી કોઇ નહીં જોતું  હોય. શ્રધ્ધા સાથે દિકરાની પાછા આવવાની આશા લઇ અને કોણ જાણે કેટલી રથયાત્રાઓ જોઇ હશે. આશા પુરી થયા વગર જ બન્નેની આંખો બુઝાઇ ગઇ.

 બ્લોગ-૮૬

( પોલેંડમાં યહુદી પરિવારમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા,૧૯૭૮માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક- બાશેવિસ ઇસાક સિંગરની એક ખાસીયત હતી. તેઓ જે પરિવારમાં જન્મ્યા હતાં તે યહુદી ધર્મના દેવસ્થાનોનો  પૂજારી  પરિવાર હતો. યહુદી ધર્મમાં પણ મોક્ષ, મૃત્યુ પછીની અવસ્થાની કલ્પના, ગૂઢ વિદ્યાઓ વિ. માન્યતાઓ લગભગ હિન્દુ ધર્મને મળતી આવે છે, જે તેમને સંસ્કારમાં મળી હતી. તેમના સાહિત્ય સર્જનમાં તેનો પ્રભાવ જોવા મળે છે. તેમની એક  વાર્તાનો મૂળ ભાવ કેન્દ્રમાં રાખી અને આ વાર્તા લખી છે. )

સાંઇ સાચું ન બોલ..

નામ એનું ઇશ્વર પણ ગામમાં બધા ઇશો કહીને જ બોલાવે. બુઢ્ઢી માં સાથે ઝુગ્ગી ઝુંપડીમાં રહેતો નાનું મોટું મજુરી કામ કરી ખાય. ખાસ તો લોકો ઘરની રસ્તા પર પડતી બારીઓના ગંદા થયેલા કાચ લૂછાવડાવે જે રસ્તા પર પડતી દિવાલો પર ચડીને લૂછવા પડે. તેણે ખાસ દોરડાનો ઝૂલો બનાવ્યો હતો, જે છત પર જઇને, જ્યાં હૂક ભરાવવા મળે ત્યાં લગાવી દે અને ઝૂલા સાથે દિવાલ પર લટકીને બારીઓના કાંચ સાફ કરી આપે. આ કામમાં તે માહિર થઇ ગયો હતો. નજીવા પૈસા લેતો એટલે લોકો વારંવાર તેને બોલાવતા. નાનજીની ચાની ટપરી પાસે લીમડાના ઝાડ નીચે તે બેઠો હોય. લોકો આવતા જતાં જ કહી દેતા ” ઇશા કાલે મારે ત્યાં આવી જજે ” -ઇશો સવારમાં જ ગાભા અને દોરડા વાળો ઝુલો લઇ હાજર.

ઇશો ખાસ્સી ઉમ્મરનો થઇ ગયો હતો. બુઢ્ઢી માની જવાબદારી હતી એટલે કુંવારો જ રહ્યો,  પણ કામ બહું ઇમાનદારીથી કરતો. વર્ષોથી આ કામ કરતો તેમ છતાં કોણ જાણે શું થયું, માધા શેઠની ઘરની બારીઓના કાંચ સાફ કરવા છત પર ગયો અને દોરડેથી લટકાવેલા ઝુલા પરથી નીચે પડ્યો, માથામાં વાગ્યું, ખાસ્સું લોહી વહી ગયું, સદભાગ્યે હાથ પગ સલામત રહ્યાં, લોકો ભેગા થઇ ગયાં પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી કરી અને તેના ઘર સુધી મુકી આવ્યા.

-” ઘણા દિવસો થઇ ગયા, ઇશો દેખાતો નથી !” કોઇ કે યાદ કર્યું. નાનજીની ચાની ટપરી પાસે બીડી પીતો ઉભેલો રામો બોલ્યો ” તમને ખબર નથી ? દિવાલ ઉપરથી પડ્યો ત્યારે કોણ જાણે દિમાગની કઇ નસ ખુલી ગઇ ? કે એ ત્રિકાલ-જ્ઞાની અને અંતર્યામિ થઇ ગયો છે. ઝુંપડ પટ્ટીમાં તો તેનું નામ થઇ ગયું છે. માથે પાટો બાંધીને ખાટલા પર બેઠો હોય, કોઇને કોઇ તેની પાસે આવીને બેઠું હોય. -” ઇશા ભાઇ, આ બબલીનો બાપ બે દિવસથી ઘરે આવ્યો નથી, ક્યાં હશે ?” -ઇશો એક જ સેકંડમાં કહી દેતો “દારુ પીને પછી તારા બાપને ગામ ઝઘડો કરવા ગયો છે, સાંજે આવી જશે”.-  ” ઇશા ભાઇ, મારું પાકીટ ગુમ થઇ ગયું છે.”  -બેક સેકંડ આંખો બંધ કરીને જાણે તેને દેખાતું હોય તેમ- ” કોઇએ નથી લીધું, તારા ત્રણ વરસના ટેણીયાના હાથમાં આવ્યું હતું, રમતા રમતા ઘરની પાછળ ખાડો છે ત્યાં ફેકી દીધું છે. જા ગોત, મળી જશે”. -ઇશો ભોળો હતો કંઇ લેતો નહીં પણ તેની બુઢ્ઢી માં આવનારની પાછળ થતી અને કહેતી ” રુપિયો બે રુપિયા તો આલતા જાવ, આ વાગ્યું છે ત્યારનો કામ પર ક્યાં જાય છે !”

વાત શહેરના સારા માણસો સુધી ફેલાવા લાગી. જેના ઘરના બારીના કાચ સાફ કરતો તે શેઠ લોકોના ઘરેથી પણ કુતુહલ વૃત્તી થી તેને જોવા આવવા લાગ્યા. – મુઠ્ઠી બંધ રાખી જવાન છોકરીઓ પુછતી-” ઇશા, આમાં કેટલા રુપિયા છે ?” -  ઇશો, હસીને કહેતો ” બહેન બા શું કામ મજાક કરો છો, કંઇ નથી” -અને આશ્ચર્ય વચ્ચે સાચું પડતું ત્યારે અંદરો અંદર ફુસ ફુસ કરતી. – ” હાં, હો કહેવું પડે, ઇશામાં કંઇક તો દૈવી શક્તિનો સંચાર થયો લાગે છે”.

સારા ઘરની સ્ત્રીઓ તો ચમચી ખોવાઇ ગઇ હોય અને દોડી જાય. ઇશો કહેતો -” જમણી બાજુનો બેડ-રુમ છે ને ? ત્યાં પલંગ નીચે છે ” અને સાચું પડતું. ચોરી થઇ હોય તો ઇશો, છોકરુ ખોવાઇ ગયું હોય તો ઇશો. ચોર લોકોના કામ ધંધા બંધ થઇ ગયાં. કેટલાય ચોર જેલની હવા ખાવા લાગ્યા. એક વાર તો ચોર લોકોએ ભેગા થઇ તેનું કાસળ કાઢવાનો પણ પ્લાન કર્યો પણ ઇશાને તેનો પહેલેથી જ ખ્યાલ આવી જતો. અને તે આબાદ બચી જતો, પછી તો ચોર લોકોએ બીજો કીમિયો ગોતીને તેને બદનામ કરવાનું ચાલું કર્યું. તેઓ એવી વાત ઉડાડવા લાગ્યા કે ઇશા પોતે જ બાળકોને ક્યાંક સંતાડી દે છે, પછી આવનાર વ્યક્તિને તેનું બાળક ક્યાં છે તે દૈવી શક્તિનો ઢોંગ કરી અને ગોતી આપે છે.

વાતનું વતેસર થતાં કેટલી વાર લાગે ? પછીતો તેની દૈવી શક્તીની ખાત્રી કરવા માટે સમાચાર પત્રોના પત્રકારો આવવા લાગ્યા. જે ને જેમ લાગ્યું તેમ છાપવા લાગ્યાં. વિરોધ પક્ષોએ સરકારને આ બાબત તપાસ કરવા દબાણ કર્યું.  બિચારો અબુઝ ઇશા તો મુંઝાઇ જતો. તેને જે સત્ય દેખાતું તે બોલતો, ખોટું બોલી શકતો નહીં. ગામનાં સરપંચને ખબર પડી કે સરકારી પંચ ઇશાની ઝુંપડીએ તેની મુલાકાત લેવા આવી રહ્યું છે એટલે રસ્તાઓનું સાફાઇ  કામ શરુ થઇ ગયું, જે છેલ્લા દશ વર્ષમાં ક્યારેય થયું ન હતું. મુખ્ય રસ્તા પરની ઝુંપડીઓને રંગ રોગાન કરવામાં આવ્યું. ઝુંપડ પટ્ટીમાં તો ઇશાને લઇને જાણે ઉત્સવ આવી ગયો.

અંતે નક્કી થયેલા દિવસે ઇશાની મુલાકાતે સરકારી પંચ આવી ગયું. પંચના એક મહાશયે પુછ્યું- ” ઇશા, તું બતાવ હું કોણ છું ? ” -ઇશાએ તરત જ જવાબ આપ્યો- ” તમે જીલ્લાની મોટી કચેરીમાં બેસો છો અને દરેક કામ પતાવવાના બદલામાં લોકો પાસેથી લાંચ લેવાનું કામ કરો છો” - મહાશય જરા હેબતાઇ ગયા. બીજા મહાશય વધારે  ખાત્રી કરવાની હોંશિયારી કરવા ગયા.- ” ઇશા તું ક્યા આધારે આવું કહે છે ? ” – ઇશાએ કહ્યું ” તેમાં તમારો પણ ૪૦ ટકા ભાગ હોય છે, બોલો સાચું કે નહીં ?”-  હવે ત્રીજા મહાશયને થયું કે વાત ટૂંકમાં વાળી લેવી પડશે નહીં તો પબ્લીક વચ્ચે ભવાડો થશે, એટલે તેમણે ગુસ્સો કરીને ભેગા થયેલા ટોળાને અને પોતાની સાથે આવેલા માણસોને કહ્યું ” ચાલો ચાલો આ માણસ તો નર્યો ગાંડો છે, કોઇ દૈવી-શક્તી બૈવી-શક્તી નથી. યા તો આ ગાંડો છે, અથવા ઢોંગી છે. આપણે તુરત જ જઇને સરકારને અહેવાલ આપવો પડશે, કોઇ ડોક્ટરને મોકલીને પાકી ખાત્રી કરાવી લે અને તેના પર કોર્ટમાં કેશ દર્જ કરે ”.

ગામના લોકોએ માંડ માંડ સરકારી પંચના સભ્યોને સમજાવ્યા- ” જાવા દો સાહેબ, બહુ ગરીબ માણસ છે, હેરાન થઇ જશે. તમે કહો છો તેમ કદાચ હોય, પણ તેને માફ કરી દો “ 

ઇશાને દુનિયાના ખોટા અને ચોર લોકો પર અંદર અંદર ગુસ્સો આવતો હતો, પણ તેનું કોણ સાંભળે ? તે દિવસે સાંજે વિચારમાં ને વિચારમાં તે દૂર દૂર ચાલતો ગયો, શહેરથી ઘણો દૂર નીકળી ગયો. તેને થયું કે ઉપાધી આપનાર આ અંતર્યામિ જેવી શક્તિ ક્યાંથી આવી ? આના કરતા તો બધું અજાણ રહે તે સારું. આ બધું ઉપર બેઠેલા ભગવાને જ સંભાળવું જોઇએ, મને આ ઉપાધી ક્યાંથી સોંપી ? અચાનક તેને પગમાં ઠેસ વાગી અને તે પડી ગયો, તેનું માથું એક પત્થર સાથે અફળાયું, ખાસ કંઇ વાગ્યું નહીં પણ પેલી ખુલી ગયેલી નસ બંધ થઇ ગઇ. તેને ભાસ થયો કે પહેલાની જેમ તેને હવે કંઇ જ ખબર પડતી નથી. દૈવી-શક્તીએ વિદાય લઇ લીધી હોય તેવું લાગ્યું. તેણે થોડી રાહત અનુભવી, રાત્રે શહેરમાં પાછો આવ્યો.

બીજે દિવસે બધાને કહી દીધું, હવે મારામા ત્રિકાલ-જ્ઞાન જેવી કોઇ દૈવી-શક્તિ નથી, કાલથી બારીઓના કાચ સાફ કરવાનું કામ ચાલું. તમારી બારીઓના કાચ સાફ કરતા કરતા મારા મગજની બારીઓના કાચ સાફ થઇ ગયા હતાં અને ઉપાધીઓ વધવા લાગી, મારા મગજની બારીઓના કાચ  ધુંધળા રહે તેવી ભગવાનને પ્રાર્થના કરો.

 બ્લોગ-૮૫

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.