Feeds:
Posts
Comments

મારો મિત્ર થાનકી હાલ જર્મનીની ટૂર પર છે. ત્યાં જોવા લાયક સ્થળોની  મુલાકાત લઇ પછી લેખ અને સુંદર તસ્વીરો બ્લોગમાં મૂકે છે. મે તેને કોમેન્ટ લખેલી કે brwબર્લિનની ઐતિહાસીક દિવાલ જોવા જરૂર જજે,માનવીય ભાવનાઓને કચડીને ત્યારના શાસકોએ બર્બતાનો કેવો પરચો આપ્યો હતો ? તે અનુભવ, તે દિવાલની પાસે ઉભો રહીને કરજે.”  તેને જવાબમાં જણાવેલ કે “બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના બે ભાગ પાડતી બર્લિનની દીવાલ પણ હવે ઇતિહાસ બની ચૂકી છે. લગભગ ૨૫ વર્ષ જર્મનોને આ દીવાલે જુદા પાડી રાખ્યા હતા, પણ અંતે ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચેની દીવાલનો ૧૯૮૯ના ડિસેમ્બરમાં ધ્વંસ કરી દેવાયો હતો અને જર્મની એક થઈ ગયું છે. આજે જ્યાં દીવાલ હતી ત્યાં માત્ર એક સ્મારક છે.brw1“ 

વિભાજનની  ભાગલાવાદી માનસીકતા માનવીય ભાવનાઓ પર કેવો કુઠરાઘાત કરે છે? તે આજે પણ જોવા મળે છે.ભારત  પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે સરહદ ક્યા ક્યા ગામડાઓ અને શહેરો વચ્ચેથી નક્કી થશે તેની દહેશતમાં લોકો છ છ મહિનાઓ સુધી સુતા ન હતાં. અને આજેય સરહદની L.O.C. લાઇન પર આવેલા ગામડાઓ ભારત પાકિસ્તાન  વચ્ચે એવી રીતે વહેચાયા છે કે, કાકા, દાદાના, ભાઇ બહેનના કે દિકરી દીધેલી છે તેનું સાસરુ, એકા એક બે દેશ વચ્ચે વહેંચાઇ ગયા હતા. તેઓ એક બે કિલોમીટરના અંતરે એક બીજાને દૂરથી જોતા રહે છે, આજે તો મોબાઇલની વ્યવસ્થા તેમને કેટલી કામ લાગે છે તે ખબર નહીં પણ એટ્લું ચોક્ક્સ છે કે એક બે કિલોમીટરની દૂરી તેમના માટે તો ૭૦૦  થી  ૮૦૦ કિલોમીટરની થાય. પાસપોર્ટ અને વિઝાની પળોજણ માંથી પસાર થયા પછી વાઘા બોર્ડરથી એક બીજાના દેશમાં પ્રવેશ મળે ત્યારે મળવાનો મેળ પડે. ક્યારેક આ ક્પરી માનસિક પરિસ્થીતીનો વિચાર કરી જોજો, એક વાર  કંપારી જરુર આવી જશે.

હિન્દી સાહિત્યમાં જેનુ નામ મોખરે છે તે સહાદત હસન મંટોએ ભારત પાકિસ્તાનના વિભાજન ઉપર ઘણી વાર્તાઓ લખેલી જે વિશ્વ સાહિત્યની કક્ષાએ શ્રેષ્ટ ગણાય છે. સહાદત હસન મંટો વિભાજન પહેલા મુંબઇના  શુક્લાજી સ્ટ્રીટ જેવા બદનામ વિસ્તારમાં રહેલા અને ત્યાંની બદનામ વસ્તી પર ઘણી વાર્તાઓ લખેલી વિભાજન પછી પાકિસ્તાનમાં ગયા અને ત્યાંજ બહુ દયાજનક સ્થિતીમાં તેમનું મૃત્યુ થયું હતું. વિભાજન ઉપર લખેલી એક વાર્તા “ ટોબા ટેક સીંહ “ ખૂબજ અસરકારક  રહેલી, આજે પણ આ વાર્તા એટલી ધારદાર લાગે છે. તેનો ભાવાંશ રજુ કરવાની ઇચ્છાને રોકી નથી શકતો.

મન્ટોએ એક વાર્તામાં એવો કટાક્ષ મૂકેલો જે આજે પણ યાદ આવે છે “  दंगो के बाद बोम्बेकी गलीओमे महीनो तक लाशे  पडी रही , धरम नामका मांस  गीदडॊ और गीधोने नोच लीया था  और पहेचानना मुश्कील था, की लाश हिन्दूकी है या मुसलमानकी ।  ……

“ ટોબા ટેક સીંહ “

 

ભારત પાકિસ્તાનના વિભાજનના બે ત્રણ વર્ષ પછી  બન્ને સરકારોને અચાનક ખ્યાલ આવ્યો કે જેમ જેલના કેદીઓની આપ-લે થઇ તેમ પાગલ ખાનાના પાગલોની પણ આપ-લે થવી જોઇએ. જેમના સગા વહાલા હિન્દુસ્તાનમાં હોય તેમને હિન્દુસ્તાનમાં અને જેમના પાકિસ્તાનમાં હોય તેમને પાકિસ્તાનના પાગલ ખાનામાં ફેર બદલ કરવી. લાહોરના એક પાગલ ખાનામાં ક્યાંકથી આ વાત પાગલો પાસે પહોંચી ગઇ અને બધા પાગલોની વચ્ચે ચર્ચાનો આ વિષય બની ગયો. બે વર્ષથી તેમને હિંદુસ્તાન પાકિસ્તાન વિષે કંઇ જ ખબર ન હતી. તેઓ એક બીજાને પોતાની મંદ બુધ્ધિમાં ન ઉતરે તેવી પૂછતાછ કરતા.

એક પાગલ જે સરદારજી હતો તેણે એક મુસલમાન પાગલને પૂછ્યું “  मौलवी साब  ,ये  पाकिस्तान कौनसी बलाका नाम  है ? “  પેલા પાગલે ક્યાંય સુધી માથુ ખંજવાળીને બહુ વિચારીને જવાબ આપ્યો “  पाकिस्तान शायद हिन्दुस्तान की वो जगा का नाम है , जहां  उस्तरे बनते है  ।  એક મુસલમાન પાગલ હિન્દુસ્તાન, પાકિસ્તાન, પાકિસ્તાન, હિન્દુસ્તાન  બોલતો બોલતો વધારે પાગલ બની ગયો અને એક ઝાડ પર ચડી ગયો, કહેવા લાગ્યો “ मै, न हिन्दुस्तान मे जाउंगा और न पाकिस्तान मे, मै इस पेड पर रहुंगा । “  પહેરેદારો  ઘણી મુશ્કેલી પછી તેને  સમજાવી શક્યા, તે નીચે ઉતરીને હિન્દુ પાગલોને ભેટીને જોર જોરથી રડવા લાગ્યો, કહેવા લાગ્યો “ अभी आप सब मुझे छोड कर हिन्दुस्तान चले जाओगे, मै  अकेला पड जाउंगा । “   બીજા એક બે પાગલોએ તેને સમજાવ્યો “ तुं फिक्र मत कर , ये सब कोइ पागलोकी साजीस है । हम जब अस्पतालमें  आये तब ये जगा हिन्दुस्तान थी अब एका एक पाकिस्तान कैसे बन गइ ? “  એક પાગલ પોતાને ખુદા માનતો હતો તેને જ્યારે કોઇ પાગલ પાકિસ્તાન વિષે પૂછતો ત્યારે તે કહેતો “  अभी हमने हूकुम नहीं  दीया, अभी हमारे पास हूकुम की लंबी लिस्ट है  ।  એક પાગલ સરદારજી, તેનું નામ તો બિશન સિંહ હતું પણ બધા પાગલો તેને ટોબા ટેક સિંહ કહીને બોલાવતા. કારણ કે તેને મળવા આવવા વાળા લગભગ આ નામ વાળા ગામેથી આવતા, આ ગામનું નામ ઘણું વિચીત્ર અને અજાણ્યું  હતું.

વોર્ડમેન અને પહેરેદારોનું કહેવું હતું કે “આ સરદારજીને  પંદર વર્ષ પહેલા  તેના કુટુંબીઓ મૂકી ગયા હતા, જ્યારથી આવ્યો હતો ત્યારથી  અમે કોઇ દિવસ તેને બેઠેલો કે સુતેલો જોયો નથી, રાત હોય કે દિવસ તે સૂતો જ નથી, ક્યારેક થાકે તો દિવાલને ટેકો દઇને શાંત ઉભો રહે  છે, એટલે તો તેના પગની પીંડીઓ કાયમ  સૂજેલી જ રહે છે.”  લગભગ તે લાહોર કે સિયાલકોટનો મોટો જમીનદાર હતો.અચાનક તેનું ક્યા કારણથી છટકી ગયું ? તે કોઇને ખબર ન હતી. એક, એક અઠવાડીયા સુધી તે નહાતો નહીં, ક્યારેક તે વહેલો પરોઢે નાહી લેતો અને વાળમાં તેલ-બેલ નાખીને તૈયાર થતો  ત્યારે જરુર કોઇને કોઇ તેને મળવા આવતું, કોઇ અજીબ રીતે તેની છઠ્ઠી ઇંન્દ્રીય તેને જાણ કરતી હોય તેવું લાગતું. તે કંઇક અજીબ અને ન સમજાય તેવું બડ બડ કરતો રહેતો. “ ओपड दी गड गड, दी एनेक्स , मुं ग दी डाल ओफ दी लालटेन “ કોઇ રિશ્તેદાર મળવા આવે તો ચુપચાપ ઉભો રહેતો, એ લોકો જાય પછી તેની બડબડ ચાલુ થઇ જતી “  “ ओपड दी गड गड, दी एनेक्स दी ……… “  ક્યારેક કોઇ બીજો પાગલ તેને ભારત પાકિસ્તાન વિષે પૂછે તો જવાબ મળતો “ ऒपड दी गड गड, मुंग दी डाल एन्ड दी टोबा टेक सीह गवरमेन्ट । “

ભારત પાકિસ્તાનના વિભાજન પછી તેને કોઇ મળવા આવ્યું ન હતું , તેને થતું કે કોઇ મળવા આવશે તો પુછીશ  “ टोबा टेक सीह  किधर  आया ? हिन्दुस्तान में या पाकिस्तान में ? “  અને અંતે પાગલોની અદલા બદલી માટે નક્કી કરેલો દિવસ આવી ગયો. લાહોરના પાગલ ખાનામાં જે  પાગલોને હિન્દુસ્તાન મોકલવાના હતા તેમને પરાણે ધક્કા મારી મારીને પહેરેદારોએ વાનમાં ચડાવ્યા. તેઓ જવા તૈયાર ન હતાં અને જોર જોરથી બૂમો પાડી ને કહેતા હતાં “ हम तो हिन्दुस्तान में ही है, साले हम लोग पागल है कि तुम लोग ? “  મહા પરાણે તેમને વાનમાં બેસાડ્યા. વાન બરાબર પાકિસ્તાનની સરહદની લાઇન પર ઉભી રાખીને બધા પાગલોને સામે દેખાતી હિન્દુસ્તાનની સરહદ સુધી પહોંચડવાના હતાં. થોડાક મીટરનો ફાસલો ચાલીને જવું પડે. પાગલોએ ફરી ભાગમદોડ શરુ કરી દીધી હતી. પહેરેદારો એક એક પાગલની પાછળ દોડીને પકડવાનો પ્રયત્ન કરતા હતાં. એક પહેરેદારનું  ધ્યાન ટોબાટેક સીંહ તરફ ગયું . તે બન્ને દેશની સરહદની બરાબર વચ્ચે બેસી પડ્યો હતો, પંદર પંદર વર્ષથી જે માણસ કદી બેઠો ન હતો, કદી સૂતો ન હતો, તે આજે તે જગ્યાએ સૂઇ ગયો હતો. કદાચ તે કાયમ માટે સૂઇ ગયો હતો.

ટોબાટેક સીંહ જે જગ્યાએ સદાને માટે સૂઇ ગયો હતો તે જગ્યા  બન્ને સરહદની વચ્ચેની જગ્યા હતી. તે જગ્યા ન હિન્દુસ્તાન હતી કે  ન પાકિસ્તાન….

 ( બ્લોગ-૫૮ )

અમારો અમરેલીનો કવિ રમેશ …., પૂજ્ય શ્રી મોરારીબાપુને મે ઘણી વખત  પોતાની રામકથામાં રમેશ પારેખને યાદ કરીને તેમની ગઝલ કહેતા સાંભળ્યા છે. બાકી હું શું લખી શકું આ  દિગ્ગજ કવિની મહાન સિધ્ધીઓ વિષે ?  
 ૧૭-મે- ૨૦૦૬ ,આજ થી બરાબર ત્રણ વર્ષ પહેલા રમેશ પારેખ આપણી વચ્ચેથી વિદાય લઇને ચાલ્યા ગયા. અમદાવાદથી રાજકોટ જતાં બસમાં જ હ્રદય-રોગનો હુમલો થયો અને રમેશ પારેખ એકા એક તસ્વીર બની ગયા. શ્રી સંદીપ ભાટીયાની એક ગઝલ  આશીત દેસાઇના સ્વરમાં સાંભળી છે.  

માણસ જેવો માણસ ક્ષણમાં ધૂમાડો થઇ જાય, એ કંઇ જેવી તેવી વાત નથી. 

ઘરઘર રમતાં પળમાં કોઇ પૂર્વજ થઇ પૂજાય, એ કંઇ જેવી તેવી વાત નથી.

તારીખિયાને કોઇ પાને સૂરજ અટકી જાય એ કંઇ જેવી તેવી વાત નથી.

તે દિવસે સૂરજ ખરેખર તારીખિયાના પાને અટકી ગયો હશે !   આદિલ મન્સૂરી અને રમેશ પારેખ જેવા કવિઓએ તો આપણને ગઝલનો ચસ્કો લગાવ્યો હતો, નહીં તો ગઝલતો જાણે આશીક માસુકની વાતો અને ઉર્દૂ સિવાય હોય જ નહીં, હું તેવા ભ્રમમાં હતો. બહુ જલદી આ લોકો આપણને ગઝલ વગરના કરી ગયા. મને એક વાતનો ગર્વ છે કે આ બન્નેને હું, ભલે થોડિક પળો કે થોડિક ક્ષણો માટે, પણ રુબરુ મળ્યો છું. મારે મનતો આ બન્ને મારા હીરો જ હતાં. મને આવા માણસોને રુબરુ મળવાની રીતસરની ઘેલછા રહેતી.
 r
આ વિઝીટીંગ કાર્ડ રમેશ પારેખે ખુદે મને આપેલું છે. મારો કાયમનો ક્રમ રહેતો, જ્યારે મારી ફેક્ટરીની રજા રહેતી ત્યારે થાનકીને મળવા “જનસત્તા” પ્રેસ પર જવાનું, લાઇબ્રેરીમાં જવાનું  અને મેળ પડે તો અમારા માનીતા કે જાણીતા લેખક કે કવિને મળવાનું, આવો અમારો જિંદગીનો મનસૂબો કે આનંદ જે કહો તે રહેતો, પણ અમેતો અમારી જાતને ધન્ય સમજતા . 
આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલા રાબેતા મુજબ હું મારા મિત્ર થાનકીને મળવા “જનસત્તા” પ્રેસ પર ગયેલો અને તેના ટેબલ સામે બે બીજી ખુરશીઓ રહેતી “ચાંદની” અને “રંગતરંગ” માં લખવા વાળા જુના, નવા મુલાકાતીઓ અને  મારા જેવા મિત્રો માટે એ ખુરશીઓ રહેતી. 
 ” કેમ છે હસમુખ ? ” કહીને હું ખુરશીમાં ગોઠવાયો, બાજુની ખુરશીમાં અવારનવાર કોઇને કોઇ રહેતું, ક્યારેક કોઇ વાર્તા લખીને રુબરું આપવા આવતા તો કોઇ કવિતા આપવા. હું પણ આવું જ કરતો. તે દિવસે પણ એક દુબળા અને એકવડીયા બાંધાના એક ભાઇ બેઠેલા, સફેદ લેંઘો અને ઝભ્ભો પહેરેલો હતો ખભ્ભા ઉપર ખાદિનો બગલ થેલો હતો.  હસમુખે કહ્યું ” દિનકર આમને ઓળખે છે ? રમેશ પારેખ ! ” હું તો એક દમ સફાળો, સડક ઉભો થઇ ગયો, અને અહોભાવથી હાથ મિલાવ્યા, “ હું દિનકર ભટ્ટ, થાનકીનો મિત્ર ”. રમેશ પારેખે કહ્યું “બેસો બેસો, ભલામાણસ, ઉભા કેમ થઇ ગયા ? ”  ઘડી ભરતો સ્વપ્ન જેવું લાગ્યું, માનવામાં નહોતું આવતું કે હું  જેની ગઝલોનો અને નામનો આશીક હતો, તે રમેશ પારેખની સામે ઉભો  છું !. શું વાત કરવી એ સમજાતું ન હતું એટલે હું અને થાનકી કેવી રીતે મિત્ર થયા એવી બધી નાની નાની વાતોનો દોર ચલાવ્યે રાખ્યો. તેઓ હસતા રહ્યા અને મારી વાત સાંભળતા રહ્યાં. થોડી વાર પછી તેમણે ઝભ્ભાના ખિસ્સામાંથી બીડીની ગડી કાઢી અને મને કહ્યું ” બીડી લેશો ? ” મેં શરમાતા શરમાતા કહ્યું ” હું નથી પીતો ! ” તેમણે એક બીડી સળગાવી અને લહેજતથી પીવા લાગ્યા, થાનકી સાથે પણ કંઇક વાતો ચાલતી રહી, ત્યારે તેઓ બીડી પીતા હતા, પછીની ખબર નથી. આજે મને એવું લાગ્યા કરે છે કે હું બીડી પીતો હોત તો કેવું સારુ હતું ! રમેશ પારેખના હાથની બીડી એક સંભારણું બની જાત.
 ખેર, તોયે મારા ભાગ્ય એટલા સારા કે જતા જતા તેમણે મને વિઝીટીંગ કાર્ડ આપ્યું. તે વખતે તેઓ એકવડીયા બાંધાના હતા, પછી તો ક્યારેય મળવાનો લાભ ન મળ્યો, એક વાર મુંબઇમાં તેમનું સન્માન થયેલું તેના ફોટા દૈનિકમાં જોઇને ધન્યતા અનુભવેલી. ફોટામાં એકદમ ભરાવદાર શરીર હતું, આનંદ થયો, ઘરમાં મે બધાને કહ્યું “હું જ્યારે મળ્યો હતો ત્યારે શરીર એકવડીયુ હતું. મારી પત્નીએ કહ્યું ” ત્રીસ વર્ષે એટલો ફર્ક તો પડે જ ને ! ” વિઝીટીંગ કાર્ડ પોતે સાક્ષી છે કે રમેશ પારેખ તે વખતે ગાંધીનગરમાં હતાં અને ગુજરાત ગ્રામ વિકાસ નીગમના “રચના” નામના મેગેઝીનના સહતંત્રી હતા. પછી તો આખું ગુજરાત જાણે છે કે રમેશ પારેખ શું હતા ? પણ મારે મન આ વિઝીટીંગ કાર્ડ એક પ્રસાદ જેવું છે.મારા માટે આ કાર્ડનું મહત્વ ઓસ્કાર્ડ એવોર્ડથી જરાય  ઓછું નથી. ત્રીસ વર્ષથી મે તેને સાચવી રાખ્યું છે.

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા,

કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.

મને ખીણ જેવી પ્રતીતી થઇ છે,

કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.      – રમેશ પારેખ

( બ્લોગ- ૫૭ )

જોગી સાહેબની વાત કરવી છે. શ્રી યશવંત ભાઇ ઠક્કરે ઘણી વખત તેમના પ્રતિભાવમાં જોગી સાહેબની મારી વાતો સાથે પોતાની યાદો તાજી કરી છે. મને થયું કે આ ઓલીઆ અને ફકીર સરીખા આદમીને પુરા ભાવ સાથે યાદ કરી લેવાનો આ સમય ચુકવો ન જોઇએ. 

થાનકી સાથે મિત્રતા ન થઇ હોત તો  કદાચ જોગી સાહેબને ઓળખતો ન હોત. શ્રી યશવંત ભાઇએ કહ્યું તેમ, તે વખતે નવા નવા લેખકો “ચાંદની અને રંગતરંગ” માં મથામણ કરતા, તેમાનો એક હું પણ હતો. જ્યારે જ્યારે થાનકીને મળવા “જનસત્તા” કાર્યાલય જતો ત્યારે જોગી સાહેબને અચુક મળતો. બહુ સાદગી વાળા અને નિરાભિમાની ,હસતો ચહેરો, માથા ઉપર કાયમ મફલર લપેટેલુ હોય, એમ લાગતું કે તબિયત હંમેશા નાજુક રહેતી હશે. પણ શબ્દોના ધની, જ્ઞાની, સાહિત્ય કે કાવ્ય શાસ્ત્ર  કહો ગઝલ કહો, તેમનું મંતવ્ય સ્પષ્ટ ( Clear Funda) કોઇ અસમંજસ નહીં.  મને તેમનામાં વૃધ્ધ અને  પીઢ ગાલીબનો ચહેરો દેખાતો અને ગાલીબની પેલી પંક્તિ યાદ આવી જતી. 

बाजीचा-ए-अतफाल है दुनिया मेरे आगे ।

होता है शबो-रोज         तमाशा मेरे आगे ।

દુનિયા મારી સામે શતરંજના સોગઠાના ખેલ જેવી છે, મારી સામે રોજ આ તમાશો થતો હું જોઉં છું. ગાલીબ જેવી પીઢતા તેમના ચહેરા ઉપર દેખાતી. વાર્તા વાંચીને ઘણી વખત પાછી આપેલી, હસતા હસતા કહેતા ” પ્લોટ સરસ છે, થોડી માવજત લઇને મઠારો “. ગુજરાતી સાહિત્યના રસિકો બધા લેખકોને નામથી જાણતા હશે પણ આ માણસ એવો હતો કે બધા લેખકો અને દિગ્ગજ કવિઓ જોગી સાહેબને વ્યક્તિગત  ઓળખતા, તેમની સામે આવીને બેસતા. મને યાદ છે એક વાર મારા મિત્ર થાનકીએ કહેલું કે આજના ગુજરાતના મુખ્ય મંત્રિ શ્રી નરેન્દ્ર મોદી પણ વાર્તાઓ અને કવિતાઓ લખતા અને જોગી સાહેબને આવીને મળતા.

સ્વ. શ્રી આદિલ મન્સૂરીને મળવાનું થયેલું, જોગી સાહેબ વિષે તેમણે એક જ શબ્દમાં કહેલું ” જોગી તો ઓલીઓ છે ઓલીઓ “. જોગી સાહેબ ઉર્દૂ પણ જાણતા હતા અને લખી પણ શકતા હતા. એક વાર મે તેમને ડાબા હાથે લખતા જોયા અને આશ્ચર્ય થયું, મે તેમને હંમેશા જમણા હાથે લખતા જોયેલા, મેં કહ્યું “જોગી સાહેબ, ડાબા હાથે પણ લખી શકો છો ? ” તેમણે કહ્યું ” આપણી જિંદગીનો આધાર લખવા ઉપર જ હોય તો આ કામ બન્ને હાથે કરી શકવા જોઇએ !” આ વાતનું આશ્ચર્ય આજે પણ થાય છે.

jkmઅમારે ઘણી વખત આચાર્ય રજનીશ અને શ્રી જે. કૃષ્ણમૂર્તીની વાત નીકળતી. જોગી સાહેબ કહેતા ” રજનીશ આ યુગનો ઋષિ છે.  એક વાર મને જાણ થઇ કે જે. કૃષ્ણમૂર્તીની ટપાલ ટીકીટ બહાર પડી છે, એટલે પોષ્ટ-ઓફિસથી હું બે ટીકીટ લઇને આવ્યો, એક મેં જોગી સાહેબને આપી ત્યારે તેંમણે કહ્યું ” આ ટીકીટની કિંમત ત્યારે જ થાય જ્યારે તેના ઉપર પોષ્ટનો સ્ટેમ્પ લાગે, માટે તમે મને એક પોષ્ટ-કાર્ડ લખજો અને આ ટીકીટ તેના ઉપર લગાવજો,  પછી જ તેની ખરી વેલ્યુ ગણાય. તેમના કહેવા મુજબ મેં તેમને એક પોષ્ટ-કાર્ડ  લખ્યું અને તે ટીકીટ તેના ઉપર DSC00445લગાવી. જોગી સાહેબે ખુબ જ ખુશ થઇને મને જવાબમાં પત્ર  લખ્યો, જે આજે પણ મેં સાચવી રાખ્યો છે. આજે આ બ્લોગ સાથે મુકતા મને ખુબ જ આનંદ થઇ રહ્યો છે.

 
 
 
 

  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
(બ્લોગ-૫૬ )

આગળનો બ્લોગ- Retirement ( निवृती काळे…) વિષે શ્રી યશવંત ભાઇ ઠક્કરે પ્રતિભાવ આપેલો, તેમની સાથે હું સો ટકા સહમત છું. તેમનો પ્રતિભાવ અને શુભેચ્છા બન્ને હતાં.    તેમનો પ્રતિભાવ હતો.

” હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે :  પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય તો …. ” બસ આ તેર મણનો તો જ બધી સમસ્યાઓ ઊભી કરે છે. પણ મારી આપને શુભેચ્છા છે કે આપને એ તો નડે નહીં ને આપનાં સપનાં સાકાર થાય. -   યશવંત  ઠક્કર

આભાર યશવંત ભાઇ તમારી વાત સો ટકા સાચી છે, તેર મણના તોમાં  ઘણી સમસ્યાઓ છુપાયેલી છે જ,  કૌટુમ્બીક પરિસ્થીતી, સિસ્ટમ, ઘરના લોકોની સમજદારી,  અને એવા બીજા ઘણા તોની શક્યતાઓ નકારી ન શકાય. આવા વ્યક્તિઓ પ્રત્યે મારા મનમાં કરુણા હોય છે. દયા કરતા કરુણા શબ્દમાં આત્મીયતા વધારે લાગે છે. 

તમારા પ્રતિભાવથી મારા મનમાં એક વિચાર ઝબકી ગયો. મને થયું  ૧૯૮૧ ,૧૫-મે ના “ચાંદની” ના અંકમાં  મારી એક વાર્તા પ્રકાશિત થયેલી   ’એક્સ્ટેન્શન’,  તેનો સંક્ષિપ્તમાં સારાંશ બ્લોગમાં રજુ કરવો. રિટાયરમેન્ટ પછીની જ એક ઘટના વિષે હતી. આ વાર્તામાં તેર મણના તો વાળો એક “તો” જરુર અનુભવાશે, . જો કે આ વાર્તા શ્રી જોગી સાહેબે ( ચાંદનીના તંત્રી )મને ત્રણ વખત પાછી આપી હતી. અને કહેતા કે ” હજી થોડીક મઠારો, થોડીક સેવો ” પછી હસી પડતા. આ વાર્તા આમતો તેમની યાદી માટે પણ ઘણા ખપની છે.

axમુકુંદરાય શુક્લ, ગોલ્ડન ફ્રેમનાં ચશ્માથી તેમનું વ્યક્તિત્વ વધારે ઉપસતું, જનરલ પોસ્ટ-ઓફિસમાં સેવિંગ ડીપાર્ટમેન્ટના ચીફ હતાં, ડિપાર્ટમેન્ટનો કોઇ ક્લાર્ક આવવામાં મોડો પડે એટલે ચશ્મા ઉતારી મોડા આવનારે સામે સૂચક નજરથી જોઇ લેતા, મોડો આવેલો ક્લાર્ક દ્રષ્ટિનો મર્મ સમજી જતો. શુક્લ સાહેબ કંઇ પૂછે તે પહેલા જ ટેબલ પાસે આવી ઉભો રહી જતો   “સાહેબ ઘરે મહેમાન….”  શુક્લાજી જાણે બધું સમજતા હોય તેમ આંખોથી વગર બોલ્યે મીઠો ઠપકો આપી દેતા ” મિ. શાહ પ્લીઝ ઇમ્પ્રુવ..”  “ઓ.કે સર ..”  , 

“  આ બધું હવે બહુ દિવસ નહી ચાલે, મારુ આ છેલ્લું વીક છે, પછી તમે બધા મને યાદ કરશો ” 

“ખરે ખર સર ! શું કહો છો ? આ દિવસ આટલો અચાનક આવશે તેવી કલ્પના પણ નહોતી ” તે તેના ટેબલેથી પાછો શુક્લ  સાહેબ પાસે આવી ગયો. ” પછી સાહેબ ? “,   

“પછી શું ! રિટાયરમેન્ટ લેટર, વિદાયમાન સમારંભ, ફૂલના ગુચ્છાઓ અને બધાની શુભેચ્છાઓ, You know ?  હું ૧૮ વર્ષનો હતો ત્યારથી પોસ્ટમાં છું, તે આ જ સુધી,  With good record અને તમારા બધાના પ્રેમ સાથે. હવે બીજાને ચાન્સ મળવો જોઇએ. perform well  મિ. શાહ, તમારા ભલા માટે કહું છું “.

” સર, એકાદ વર્ષનું એકસ્ટેનશન માગી ન શકો ? “ .   મિ. શાહ જરા ભાવુક થઇ ગયો.  

” જરુર નથી, થોડુંક નિવૃત જીવન માણવું છે, ઘરની બાજુમાં ખેતરો છે, તેમાં વોકીંગ સ્ટીક લઇને મોર્નિંગ વોક કરવું છે. સન્યાસ આશ્રમમાં જઇને સ્વામિ શ્રી ચિન્મયાનંદજીનાં પ્રવચનો સાંભળવા છે. મિ. શાહ, તમે લોકો મને વિદાય સમારંભમાં શું ગિફ્ટ આપશો ?”  મજાકી મૂડમાં શુક્લજીએ કહ્યું. પછી હસતાં હસતાં કહ્યું , ” મિ. શાહ, હું તો મજાક કરું છું, આ પોસ્ટની સર્વિસે મને ઘણું બધું આપ્યું છે, મારો પી.એફ, ગ્રેજ્યુઇટી આ બધું પુરતું છે મારી નિવૃત જિંદગી માટે, હા, ક્યારેક ઓફિસે આવી ચડું તો થોડી વાર બેસવા એકાદ ખુરશી આપજો. હું જુની ફાઇલો ખોલીને સેવિંગ-સર્ટીફીકેટોના દસ્તાવેજોમાં મારી સીગ્નેચરો જોઇશ. બસ એક દિકરી ભગવાને આપી છે, તેને સારા ઘરે વળાવી દઉં એટલે હળવા ફૂલ !”

૩૦ મી જુને રિટાયરમેન્ટ લેટર લઇને બપોરે મુકુંદ રાય શુક્લ ઘરે આવ્યા, આ રીતે બપોરે ઘરે આવવાની ટેવ ન હતી, તડકો થોડો વધારે પીળો લાગતો હતો. ૫૮ વર્ષની સર્વિસનો થાક જાણે આજે જ જણાતો હતો. એકાદ વર્ષથી થોડો બી.પી.નો પ્રોબ્લેમ હતો પણ મુકુંદ રાય શુક્લે ગોલ્ડન ફ્રેમનાં ચશ્મા પાછળથી હંમેશની જેમ હસતા હસતા તેને ગણકાર્યો ન હતો. ઘરે આવી શર્ટ ઉતારતા શુક્લજીએ પત્નિને કહ્યું ” તને ખબર છે ? આપણા કુટુંબમાં હું એક જ એવો છું જેણે નોકરીનો સમય પુરો કર્યો હોય, કાકાને બે વર્ષની વાર હતીને એટેક આવ્યો હતો, શાંતી કાકાના ચિનુને એક્સીડેન્ટ થઇ ગયો હતો “. પત્નિએ કહ્યું ” આ બધું અત્યારે યાદ કરવાની શી જરુર ? હવે આપણી છોકરી વર્ષાનું વિચારો ” શુક્લજીએ કહ્યું ” તું ખરું કહે છે, આ એક જ કામ બાકી રહી ગયું છે, બાકી જીવનમાં શાંતિ અને સંતોષ હંમેશા રહ્યાં છે, એથી વિષેશ શું જોઇએ ? ખરુને ? હવે એક અઠવાડીયું એકદમ આરામ કરવો છે, કોઇ જ ટેનશન નહીં, કોઇ જ દોડાદોડી નહીં,  ”

એક દિવસ શુક્લજીએ બધાને પત્રો લખવામાં ગાળ્યો.  ચિ. ભકુને , રાજમાન રાજેશ્રી તખુભાને, ભાણી ગીતાને,  કાકાના દિકરા કાંન્તિને  વિગેરે વિગેરે…”આજથી હું રિટાયર્ડ થયો છું, તમારી બધાની કાયમ ફરિયાદ રહેતી કે ક્યારેય સમય લઇને આવતાજ નથી, એકાદ અઠવાડીયું ક્યારેય રોકાયાનથી,  હવે બસ સમય જ સમય છે “.   બે ત્રણ દિવસ પછી શુક્લજીએ પત્નિને કહ્યું “ ક્યારેક થોડાક ચક્કર આવતા હોય તેવું લાગે છે ” પત્નિએ મજાકમાં કહ્યું, ” હવે તો કબુલ કરો કે તમે ઘરડા થયા છો ! કાલે આપણા ડોક્ટર દેસાઇને બતાવી આવો, ઘણા દિવસ પછી ઘરે રહ્યા એટલે એવું લાગતું હશે.”  ડો. દેસાઇએ કહ્યું ” શુક્લજી તમે બધી જ બાબતમાં એકદમ પર્ટીક્યુલર અને તબિયત વિષે કેમ આટલા બેદરકાર છો ? તમારુ બી.પી ઘણું વધારે છે, તમે એક વાર બધું ચેક-અપ કરાવીલો ”  શુક્લજી ફરી એજ મજાકી મૂડમાં ” શું દેસાઇ સાહેબ તમે પણ ચાલુ થઇ ગયા ? ઠીક છે તમે કહો છો તો જોઇ લઇએ “.

તે રાત્રે શુક્લજી પડખું ફરવા ગયા અને પલંગ પરથી નીચે પડી ગયા, પત્ની અને દિકરી એકદમ જાગી ગયાં, અચાનક શું થયું ? જરા હેબતાઇ ગયાં, શુક્લજીને પેરેલિસીસનો એટેક આવ્યો હતો, અડધું શરીર ખોટું પડી ગયું હતું, દિકરી વર્ષાએ ફોન કરીને પડોશમાંથી દયાશંકર કાકા અને માણેક લાલને બોલાવી અને શુક્લજીને સિવીલ હોસ્પિટલમાં એડમિટ કર્યા, સવારે ડોક્ટરોએ બધું ચેક-અપ કર્યું અને દિકરી વર્ષાને બોલાવી ” બેટા કોઇ વડીલને લઇને મારી કેબીનમાં આવ ” વર્ષાએ કહ્યું ” ડો. સાહેબ, વાંધો નહીં જે કહેવું હોય તે મને જ કહો, હું પણ મેડિકલના છેલ્લા વર્ષમાં છું ” ડોકટરે કહ્યું   “બેટા ઇમ્પ્રુવમેન્ટનો કોઇ ચાન્સ નથી, મેડીકલ સ્ટુડંટ છું એટલે તને હાઇ બી.પી અને તેના કોમ્પ્લિકેશન્સ ખબર જ હશે , We have to wait only till…….In other way what ever time we got extended from God will be useless.”  વર્ષા માટે  આ સમાચાર આઘાત જનક હતાં. બિજે દિવસે પોસ્ટ-ઓફિસનો આખો સ્ટાફ શુક્લજીની ખબર કાઢવા સિવીલ હોસ્પિટલમાં આવી ગયો. મિ. શાહ વધારે ભાવુક હ્રદયે ઉભો હતો. તે શુક્લજીનો નિશ્ચેતન હાથ જોઇ રહ્યો હતો, તે હાથેથી કરેલી તેમની સિગ્નેચરો યાદ કરી રહ્યો હતો. મનમાં વિચારતો હતો ” મેં શુક્લજીને એકાદ વર્ષ માટે એકસ્ટેનશનની વાત કરેલી………

બ્લોગ-૫૫

આપણી સંસ્કૃતિમાં અને  ભારતીય  જીવન શૈલીમાં ૧૦૦ વર્ષના આયુષ્યની કલ્પના છે અને પચ્ચીસ પચ્ચીસ વર્ષના ગાળાને  અલગ અલગ આશ્રમ એટલે કે જીવન ret-1વ્યવસ્થામાં  વહેંચી અને શ્રેષ્ઠ જીવન વિતાવવાનો માર્ગ બતાવેલ છે. ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તી, નવી પેઢી માટે જીવનનો માર્ગ કરી આપવાનો, પોતે નિર્લેપ બની સંસારની પળોજણ કોરે મૂકી અને જીવનનો ખરો આનંદ માણવાની શરુઆત કરવાની, આવી સુંદર અને મહાન જીવન શૈલીને આપણે શા માટે સ્વિકારી નથી શકતા ?

  Superannuation, Retirement-મેં ડીક્સ્નેરી ખોલીને આ શબ્દનો વિસ્તારથી શું અર્થ થાય તે જાણવાની કોશીષ કરી. ( Period of one’s life as a retired person ) ખાસ તો એટલા માટે કે મારો Superannuation નો સમય હવે નજીક આવતો જાય છે અને છેલ્લા દશેક વર્ષથી મેં અનુભવ્યું છે કે મારી સાથે કામ કરવા વાળા સર્વિસ-મિત્રોનો જ્યારે જ્યારે Retirement દિવસ અને તેમનો વિદાય સમારંભનો પ્રસંગ આવ્યો છે ત્યારે ઘણા લોકો પોતે જાણે એકા એક અણધાર્યા સમયમાં આવી ગયા હોય તેવી વિચલીત માનસિક સ્થિતીમાં મુકાઇ જતા જોયા છે. જાણે નિવૃત્તી એ જીવનનું અંતિમ ચરણ આવી ગયું હોય તેવો અનુભવ કરતા જોયા છે. આગળનો સમય કામ વગર કેવી રીતે પસાર થશે ? અથવા તો નિવૃત્તી, જીવન માટે જાણે કે શ્રાપ હોય તેવું ફીલ કરતા જોયા છે. કોઇ અજાણ્યો ડર તેમને આભડી ગયો હોય તેવા નર્વસ થઇ જતા જોયા છે.

સંસ્કૃતમાં એક વાક્ય છે,  विनाश काले, विपरीत बुध्धि।    એમ  જાણે  निवृति काळे….विचलीत बुध्धि…  નિવૃત્તિ વખતે  જાણે  બુધ્ધિ વિચલીત થઇ જતી  હોય એવો તાલ જોવા મળતો હોય છે. મારા એક સિનીયર અધિકારી આજથી લગભગ દશેક વર્ષ પહેલા નિવૃત થયેલા. તેમને સંગીતનો શોખ હતો અને શાસ્ત્રીય ઢબે ગાયન અને હારમોનીયમ વાદન જાણતા હતા. તેઓ ક્યારેક રેડીઓ પર કાર્યક્રમ પણ આપી ચુકેલા. એકાદ વાર ફેમિલી પિકનીકમાં તેમના સંગીતની ઝલક પણ સાંભળેલી. મે તેમની નિવૃત્તીના વિદાય સમારંભ પછીની પાર્ટીમાં કહેલું ” હવે તમને સંગીતના શોખ માટે પુરતો સમય મળશે, ખરુને ?, તમારા સંગીતના જ્ઞાનનો ઉપયોગ થશે, ઘરમાં સંગીત ક્લાસ પણ ચલાવી શકશો “. તેઓ હા.. હા.. કરતા રહ્યા. જ્યારે પણ ફોન કરીને પુછું ત્યારે ખબર પડે કે તેઓ ફલાણી કંપનીમાં જોઇન્ટ થઇ ગયા છે. તેઓ કહેતા ” ભટ્ટ ભાઇ, તમને ખબર છે ને ? ફલાણી કંપનીનું પેકીંગ મટિરીયલ આપણે વાપરતા ? તેનો શેઠ પાછળ પડી ગયેલો, મને કહે તમારે તમારા અનુભવનો અમને લાભ આપવો જ પડશે, મને છેક ઘરે મળવા આવેલો, એ કંપની પરાણે જોઇન્ટ કરવી પડી ! “

તેમના બધા જ કામ બહુ સારી રીતે પતી ગયા છે. દિકરા, દિકરીના લગ્ન, તેમ જ તેઓ વેલ-સેટ પણ છે. દિકરો એમ.બી.એ. થયેલો છે અને અમેરીકામાં જોબ મળી છે. કોઇ જાતની કમી નહીં. પણ દશેક વર્ષમાં જ્યારે જ્યારે ખબર પુછું ત્યારે આ જ વાત જાણવા મળે કે ક્યાંક જોબ કરે છે. એક વાર ખબર પડી કે એકાદ મહિનો અમેરિકા દિકરા પાસે ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા ત્યારે કંઇક લોહી ઘટ્ટ થઇ જાય તેવી બિમારી લઇને આવ્યા છે. હવે જોબ નથી કરી શકતા. સંગીતનો શોખ કે સંગીતનો આનંદ, તેના વિષે ક્યારેય વિચાર્યુ નહીં.  તેમના દશ વર્ષ બરબાદ થયાનો તેમના કરતા મને વધારે અફસોસ થાય છે. તેમને  જિંદગી માણતા ન આવડી એવો મે મારા માટે બોધ લીધો. આ સિવાય પણ મારી કોલોનીમાં મારાથી થોડાક વડિલ જેવા નિવૃત મિત્રો મળે છે. સમય કેવી રીતે પસાર કરવો તેના રોદણા રોયે રાખે છે.

નિવૃત થયા પછી જે વિદાય સમારંભ અને પાર્ટીઓ યોજાય છે તેમાં પણ નર્યો દંભ જોવા મળે છે. નિવૃત્ત થવા વાળો વ્યક્તિ કંઇ કેટલાય કડવા અનુભવ લઇ ચુકેલો હોય છે. કંઇક લોકો તેના કેરીયરમાં આડા આવ્યા હોય છે. કંઇક ખડ્ડુસ અધિકારીઓ કે જેના ચહેરા જોવાય તેને ગમતા નથી હોતા તોય, ખોટું ખોટું  ઘર ઘર રમતાય હોય તેમ.

I joined this compney in the year 1985 when this plant was the only functional plant and entire site was under tremendous phase of diversification & expansion . Memorizing that phase remained very much instrumental in keeping emotional bondage with the organization through out the tenure . 

Over the passing years witnessed amazing growth of this compney, the organization as whole & its employees……..   

 આમાં ૬૦ ટકા ઉપર ઉપરનું, ઘણું બધું  ખોટું. સાવ જ ખોટુ,  ’મરી ગયેલા માણસ માટે શા માટે ઘસાતું બોલવું ’ એવા ન્યાયે, આખી પાર્ટી દરમિયાન બધું આવું જ. મે મારા સહકાર્યકરને એક વાર પૂછ્યું ” ફલાણા ફલાણા પાંચ વર્ષ પહેલા રિટાયર્ડ થયેલા હતાં, આ પાંચ વર્ષ દરમિયાન આપણને ક્યારેય યાદ આવ્યા ?  ” તેને કહ્યું  ”નહીં  ! “

પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય તો  આઝાદી મળી હોય તેવા આનંદ સાથે જિંદગીને માણવી, રજા નહીં મળવાના અભાવે ગમતા અને પોતાના લોકોને મળી નશકાયું હોય તે બધાને ધરાઇને મળવું. ઘડીયાળના કાંટે આખી જિંદગી ભાગ્યા છીએ, પછી  NO ઘડીયાળ, સૌ પહેલા ઘડિયાળ કાઢીને ખીંટીએ ટીંગાડી દઇશ. ગેલેરીમાં ઉગેલા નાના અને સુંદર ફૂલો વાળા છોડોને એકદમ બારીકાઇથી નીરખીશ. મને ઘણી વખત એવું લાગ્યા કરે છે જો લાડથી તેમનો સ્પર્શ કરીએ તો ફૂલો અને છોડો ભરપૂર અને ખૂબજ ખીલી ઉઠે. મને એવું લાગ્યા કરે છે કે દરિયો મારી રાહ rt-2જોઇ રહ્યો છે. આકાશને ધરાઇને નીરખવું છે. એકદમ અંધારા આકાશમાં દેખાતી આકાશ ગંગા અને કરોડો તારલાઓને માણવા છે. પતંગિયાની ટોળીઓને ઉડતી જોવી છે. કોઇ નદી કિનારે આવેલા મંદિરની આરતિની ઝાલરો સાંભળવી છે. આરતિ પછી મસ્તી કરતા કરતા અંધારામા ગરક થતા નાના નાના છોકરાઓની ટોળીને જોયા કરવી છે. ઝાડની ડાળીએ ગાતા પંખીના ગીતો મન ભરીને માણવા છે. સફેદ ઉડતા બગલાઓની હારમાળા છેક ક્ષિતીજ સુધી અદ્રશ્ય ન થઇ જાય ત્યાં સુધી નીરખવાનો આનંદ લૂંટવો છે. આ બધું લીસ્ટતો બહુ લાંબુ છે. આ તો મારી અંગત વાતો થઇ, તમને બધાને શા માટે બોર કરવા ? પણ હું એવું માનુ છું કે રિટાયરમેન્ટનો દિવસતો મુક્તિનો દિવસ છે. બધા જ બંધનોના ગાળીયા છોડવાનો દિવસ છે. હલકા ફૂલ થઇ જવાનો દિવસ છે.  I am badly waiting for that day.

( બ્લોગ- ૫૪ )

lb

દરિયાની વાત લખાય, ડુંગરો અને ગીરી શીખરોની વાત લખાય, ગમતા અને અણગમતા માણસો વિષે લખી શકાય તો પછી એક નાના મજાના પંખીડાની વાત કેમ ન લખાય ? ખબર નહીં ક્યાંથી વાત નીકળી ! પણ પંખીડાની વાત નીકળી અને મને અમારા ઘરમાં એક વાર  ફેમિલી મેમ્બર બની ચુકેલા લવ-બર્ડની જોડી યાદ આવી ગઇ.

બહુ મજાની અને નાજુકડી કાયા વાળી સુંદર જોડી હતી. લાલ પીળા અને આસમાની રંગ ભરેલી આ જોડી જાણે કુદરતે ફુરસદ લઇને બનાવી હોય તેવું લાગતું હતું. આ એક જ નહીં લવ-બર્ડની બધીજ જોડીઓ, જ્યારે હું લેવા ગયો હતો ત્યારે એક થી એક ચડે તેવા અલગ અલગ રંગો વાળી, મનને બધી જ ગમી જાય તેવી હતી. કઇ લેવી અને કઇ ન લેવી, હું એવી વિમાસણમાં મૂકાઇ ગયો હતો. દુકાનદાર છોકરો એક પછી એક મોટા પીંજરામાંથી બહાર કાઢી હાથમાં પકડી પકડીને મને બતાવતો હતો ” સાહબ યે લેલો, યે બહુત સુંદર હૈ, લાલ રંગ પીલી પંખ, યે લેલો બ્લુ ઔર હરા કા કોમ્બીનેશન “. જે રીતે આ નાજુક પંખીઓને પકડીને તે મને બતાવતો હતો તે જોઇને મને તેના ઉપર ધૃણા થઇ આવતી હતી. બિચારા કેટલા ભોળા અને નાજુક પંખીડા લાગતા હતા, અને આ છોકરો એકદમ દયાહીન થઇને  તેને પકડતો હતો  અને મારાથી સહન થતું ન હતું. મેં કહ્યું ” યે એક દે દો “,  છોકરો કહે “સાહબ યે એક અકેલા નહીં રહેગા, યે જોડીમેં હી રહેતા હૈ, લો યે જોડી લેકે જાઓ “  એમ કહીને તેને તેવા જ રંગનું બીજું પક્ષી કાઢી આપ્યું.  “લો સાબ યે છોટાસા પીંજડા ફ્રિ મેં આતા હૈ, યે બડા પીંજડા લેના હૈ તો ઉપર કા ૫૦ રૂપિયા દેદો, ઇસમે ઝુલા, એક પાની કી વાટી રખને કા સ્ટેન્ડ ઔર પંછી કો બૈઠને કે લિયે એક આડા સલીયા આયેગા, ઔર સાબ યે ઉસકા ખાનેકા બીજ ”. તેણે તલના ફોતરા જેવા બીજનું એક પડીકુ બાંધી આપ્યું. મે કહ્યું ” યે ખતમ હો ગયા તો મુઝે કહાં મિલેગા ?, મૈ પનવેલ રહેતા હું, ક્રાફર્ડ મારકેટ વી. ટી તક આના પડેગા ક્યા ?” તે બોલ્યો “સાબ ચિંતા મત કરો, યે વહાં ભી મિલ જાયેગા, ઔર યે જો આપકો દે રહા હું, વો એક મહિના ચલેગા “. 

આ છોકરો આટલી બધી માહિતી આપતો હતો ત્યારે પક્ષીઓ વિષે મારા અજ્ઞાનનું મને ભાન થયું, કોઇ બાપ છોકરીને વળાવતો હોય અને કેમ જાણે દાયજામાં તેના ખપની વસ્તુઓ યાદ કરી કરીને આપે તેમ તેણે આ નાજુકડી પંખીની જોડી માટે ઝુલા વાળુ પિંજરુ, પીવાના પાણીની વ્યવસ્થા, ચણવાનો સામાન વિગેરે વિગેરે. મને આ છોકરા ઉપર જે ચીડ ચડી હતી તે ઉતરી ગઇ. 

ઘણી મોટી જવાબદારી લઇને જાણે હું ઘરે જતો હોઉં એવું લાગતું હતું. થોડુક અજુક્તુ પણ લાગતું હતું. આ છોકરાએ તો મને આ પક્ષીની જોડી પકડાવી દીધી પણ હવે મારી જવાબદારી શરુ થઇ હતી. મને આવો પશુ પક્ષી પાળવાનો અનુભવ હતો જ નહીં અને આ વાતને હું ટાળતો, મને પ્રાણિઓની આઝાદી વધારે પસંદ છે . અને આવી જોડી ખરીદીને ઘરે લઇ જવાનો કોઇ પ્લાન પણ ન હતો. આ તો મારો એક મિત્ર છે પ્રવિણ અરોરા, આ ભાઇને આવો બધો શોખ, ક્યારેક સસલું લઇ આવે, પછી ખબર પડે કે બીકનું માર્યું એક વાર ત્રીજે માળની ગેલેરીમાંથી કુદી પડ્યું અને મરી ગયું, ક્યારેક પોપટ લઇ આવે, પછી ખબર પડે કે ભાઇએ સારી પેઠે પાણીથી નવડાવ્યો હતો, બે દિવસમાં રામશરણ થઇ ગયો.મને અફસોસ થતો આ બધી વાતો સાંભળીને. એક વાર તેને મને કહ્યું “ચાલો મારી સાથે વી.ટી. ક્રાફર્ડ માર્કેટ, જ્યાં આવા પાલતુ પશુ પક્ષીઓનુ બજાર છે, મારે એક સફેદ પોપટ લેવો છે, મારી બેબીને બહુ શોખ છે ” અને હું તેની સાથે ગયો હતો. આ લવ-બર્ડની જોડીએ મારું મન લોભાવી દીધું, પહેલી વખત હું કોઇ પાલતુ પક્ષી લઇને ઘરે જતો હતો. ઘણું અજીબ જેવું લાગી રહ્યું હતું.

ઘરમાં બધા માટે સરપ્રાઇઝ હતું. બધા શું કહેશે તેનું મને પણ કૌતુહલ હતું. મારી પત્નીનો પ્રતિભાવ ” આ શું લાવ્યા ? પાંજરુ રોજ ધોવું, પીવાનું પાણી બદલવું, આ બધી પળોજણ કોણ કરશે ?” પછી ધ્યાનથી તેણે સુંદર રંગીન લવ-બર્ડની જોડી જોઇ, અને તેનો પ્રતિભાવ બદલાઇ ગયો ” સરસ છે નહીં ? કેટલા નાજુક અને ભોળા લાગે છે ! રવિ જોશે એટલે ખુશ થઇ જશે ” અમે રોડ તરફની રુમની ગેલેરીમાં તેનું પાજરુ લટકાવ્યું, ” રવિને સરપ્રાઇઝ આપશું, અમે એવું નક્કી કર્યું (રવિ મારા દીકરાનું નામ છે ). રવિ બહારથી આવ્યો એટલે અમે જાણી જોઇને તે ગેલેરીમાં ન જાય તેવી તરકીબ કરતા રહ્યા, પણ દશેક મિનીટમાં તો તે ગેલેરી સુધી પહોંચી ગયો ” વાવ….પપ્પા શું લાવ્યા ? ખબર નહીં આખુ ઘર કોઇ અજીબ આનંદમાં આવી ગયુ હતું.

પછી તો આ લવ-બર્ડ અમારા દિવસો સાથે એવું તો વણાઇ ગયું હતું કે અમારી રોજની દિનચર્યા તેને ધ્યાનમાં રાખીને જ થતી. હું સાંજે સર્વિસ પરથી આવું એટલે ઓફીસ બેગ મુકીને સીધો ગેલેરીમાં જ જતો. એક વાર મારી પત્નીને બુમ મારી ” હર્ષા.. જો તો ખરી એક પંખીડુ કેવું જોર જોર થી પોતાની મેળે મેળે હિંચકા ખાઇ રહ્યું છે !” હર્ષાએ કહ્યું ” હું તો હાલતાને ચાલતા તેને કંઇ ને કંઇ નવા નવા ખેલ કરતું જોવું છું, એક બિચારુ ઠંડુ છે પણ આ તો બહુ જબરુ છે. હું પિંજરુ સાફ કરું ત્યારે છેક ઉપર ચડી જાય છે, બીજું બિચારુ છાનુંમાનુ ખુણામાં બેસી રહે છે ”. મેં કહ્યું “આપણને હજી આ પંખીડાઓ વિષે કંઇ સમજણ નથી પડતી, ખરૂને ? ક્યું નર છે ? ક્યું માદા છે ? એક કેમ જબરૂ છે ? બીજું કેમ ઢીલું છે ? તેમની ઉંમર શું છે ? “

મારા દિકરાએ મારી બેબીને ગોરેગાંવ ફોન કર્યો  ત્યારે પહેલી વાત એજ કરી ” કેટી, પપ્પા મસ્ત મજાના બે લવ-બર્ડ લાવ્યા છે ! બહું મજા કરતા હોય છે. સળીયા ઉપર લટકીને જાત જાતના ખેલ કરતા હોય છે. એક દમ ટાઇમ પાસ છે ” ફોન પર પણ પંખીડાની જ વાતો.

રવિએ કહ્યું “પપ્પા, રાત્રે પિંજરાને કપડાથી કવર કરી દેવાનું જેથી તેમને ઠંડી ન લાગે ” બીજે દિવસથી આ ક્રમ  પણ શરૂ થઇ ગયો. આ પંખીડાનું જેટલુંન  બને એટલું બધા ધ્યાન રાખવા માંડ્યા. એક દિવસ સવારે એકા એક રવિએ બુમ પાડી ” પપ્પા પેલું ઢીલુ ઢીલું લાગતું હતું એ પંખી મરી ગયું …! !”   ઘરના બધા ભેગા  થઇગયા, વિચારમાં પડી ગયા, આમ કેમ થયું ? બધા ઉદાસ  થઇ ગયા, હવે શું કરવું ? કંઇ સમજણ પડતી ન હતી. રવિએ કહ્યું પપ્પા સામેના ગાર્ડનમાં ખાડો કરીને તેને દફન કરી દઇએ. હું અને મારી પત્નિ ગેલીરીમાં ઉભા ઉભા ઉદાસ મને આ પંખીડાની અંતિમ વિધી જોતા રહ્યા.

હવે આ એકલું પડેલું પંખી ઉદાસ થઇ ગયું હતું, તેની બધી જ મસ્તી બંધ થઇ હતી. અમારાથી આ જોયું જતું ન હતું. જ્યારે જોઇએ ત્યારે ગાર્ડન તરફ ઉદાસ થઇને જોયા કરતું. હર્ષાએ કહ્યું “આને પાછું આપી આવો, કેટલા દિવસ આને ઉદાસ જોયા કરશું ? ” અને અમે નિર્ણય કરી લીધો. હું આ નાજુકડા પંખીને પાછૂં, જ્યાંથી લાવ્યો હતો ત્યાં મુકવા ગયો. પેલા છોકરાને કહ્યું ” આને પાછું લઇલે, આ એકલૂં પડી ગયું છે, એક હતું તે મરી ગયું “. એ છોકરાએ તેને મોટા પિંજરામાં જ્યાં ઘણા બધા લવ-બર્ડ આમથી તેમ ઉડા ઉડ કરી રહ્યાં હતા તેમાં મુકી દીધું. તે એકદમ આનંદમાં આવી ગયું , તેને તેની દુનિયા પાછી મળી ગઇ હતી, તે પણ બીજા પક્ષીઓ જોડે ઉડા ઉડ કરવા લાગ્યું. હું તેને લઇ ગયો હતો કે પાછું મુકી ગયો હતો, તે બધું જ ભૂલી ગયું હતું. હું તેને ક્યાંય સુધી જોઇ રહ્યો .  આ વાત મે  ઘરે આવીને  મારી પત્નિ હર્ષાને કરી ત્યારે તેની આંખ ભીની થઇ ગઇ હતી, તેની આંખમાં હર્ષના અને વિયોગના મિશ્ર આંસું હતા. મારા માટે એક બગડેલા કામને સુધારી શક્યો તેનો સંતોષ હતો.

 [ બ્લોગ-૫૩ ]

हिमालयो नाम नगाधि राज :  આ શ્લોક  કવિ શ્રી કાલિદાસ રચિત कुमार संभवम् નામના મહા-કાવ્યનો પહેલો શ્લોક છે. પાર્વતીને વિદાય આપતી વખતે હિમાલય જેવો હિમાલય પણ પિતા તરીકે પીગળી ગયો હતો. કવિ શ્રી કાલિદાસે આ પ્રસંગનું વર્ણન ઘણુજ ભાવુક કરી દે તેવું લખ્યું છે. દિકરી વ્હાલનો દરિયો હોય પણ પિતાને હિમાલય જેમ અવિચલ રહેવાનું  હોય છે. દિકરીને વ્હાલથી ઉછેરે મોટી કરે અને સાસરે વળાવે ત્યારે પિતાએ દિકરીને ખુશી ખુશી વળાવવાની હોય , પછી આડું જોઇને પોતાના રોકેલા આંસુ લુછી નાખવાના હોય.

આ વાત એવા પિતાની છે જેણે દિકરીને સદાને માટે વળાવી અને તેની યાદોને વાગોળતા વાગોળતા મૃત્યુના સત્યને સ્વિકારતો લેખ લખ્યો.  ૨૦૦૭, ૩૧ માર્ચની રાત્રે ફૂડ પોઇઝનથી દિકરીનું મૃત્યુ થયું, પહેલી એપ્રિલની સવાર, જિંદગી જાણે એપ્રિલફૂલ બનાવતી હોય તેવા દુ:ખદ સમાચાર લઇને આવી. આ પિતા હિમાલય જેવું ધૈર્ય રાખીને મૃત્યુના સત્યને સ્વીકારી લે છે, ૨૦૦૭, ૧૬ મી એપ્રિલે, બરાબર ૧૬ મે દિવસે ચિત્રલેખામાં લેખ લખે છે.

d2

 આ વાત બીજા કોઇની નહી. પણ અભિયાન અને ચિત્રલેખાથી આપણા જાણીતા થયેલા લેખક અને કોલમિસ્ટ શ્રી કાંતિ ભટ્ટની છે. મે તેમને ક્યારેય જોયા નથી પણ તેમને અવારનવાર વાંચ્યા છે. જ્યારે પણ વાંચ્યા છે ત્યારે મને એમ લાગ્યા કર્યુ છે કે હું તેમને ઓળખું છું. ( હું ભટ્ટ છું એટલે નહીં ). મારી પાસે પડેલા જુના કટીંગ્સને ફેરવતા અચાનક જ ૧૬ મી એપ્રિલ ૨૦૦૭ ના ચિત્રલેખાનું એક કટીંગ હાથમાં આવીગયું અને મગજમાં એક ચમકારો થયો. આજથી બરાબર બે વર્ષ પહેલાની આ ઘટના. શ્રી કાન્તિ ભટ્ટની પુત્રી શક્તિ ભટ્ટનું સત્યાવીસમે વર્ષે જ અકાળે અવસાન થયું, આ પિતાએ કેવો કારમો ઘાવ ઝીલ્યો હશે ? પણ  હિમાલય સમા ધૈર્ય વાળા આ પિતાએ પોતાની કલમને જરાય શિથીલ પડવા ન દીધી ! પિતા લખે છે.

 ” મારી પુત્રી શક્તિનું ૨૭ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું ત્યારે મેં એશિયાટિક લાઇબ્રેરીમાંથી લિઝાબેથ કુબલર-રોસ નામની એમડી થયેલી ડોક્ટર લેખિકાનું પુસ્તક મગાવ્યું, ડેથ-ધ ફાઇનલ સ્ટેજ ઓફ ગ્રોથ.  આ લેખિકાએ માત્ર મૃત્યુ પર જ છ પુસ્તક લખ્યા છે. આ પુસ્તના પ્રથમ પાને જ સંત ફ્રાન્સિસની કવિતા છે, જેનો અર્થ થાય છે.

એ માણસ જ બરાબર જીવી ગયો, જે પોતાના માટેજ નહીં, પણ જ્યાં પીડા હોય, જ્યાં ગમગીની હોય, નિરાશા હોય ત્યાં આનંદ ફેલાવે, બીમારીને નિવારે અને આશા જગાવે, અને ખાસ તો દરેક માણસે શીખવું જોઇએ કે મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુને સ્વીકારી લેતાં શીખી લેવું જોઇએ, મૃત્યુ પછી શાંતિનો અનુભવ કરવો , કકળાટ નહીં. મૃત્યુ ડરવા જેવી કે શોક કરવા જેવી નહીં પણ સ્વીકારી લેવા જેવી ચીજ છે. લ્યાલ વોટસન નામના પર્યાવરણશાસ્ત્રીએ લખેલ અદ્ભૂત પુસ્તક ’સુપર નેચર’ ને કોટ કરતા શ્રી કાન્તિ ભટ્ટ લખે છે, મૃત્યુ એ કોઇ અકસ્માત કે ચાન્સની વાત નથી, માણસ જન્મે ત્યારે જ મૃત્યુ એના શરીરમાં પ્રોગ્રામ્ડ  હોય છે, એક શિડ્યુઅલ પ્રમાણે શરીરના અંદરના ભાગ અને કોષો ક્રમશ: મરતા જાય છે. એક અદ્રશ્ય ફોર્સ તેને મૃત્યુ તરફ આકર્ષતો હોય છે. શ્રી કાન્તિ ભટ્ટે મૃત્યુ વિષે ઘણા બધા રેફરન્સ ટાંક્યા છે.

શક્તિ ભટ્ટને પત્રકારત્વ અને સાહિત્યની રુચી પિતાના વારસામાં જ મળી હતી. પિતા, પુત્રી સાથે ગાળેલી પળો પણ યાદ કરે છે. શક્તિ અંગ્રેજીમાં જ લખતી એટલે ગુજરાતી વાચકોને તેનો ઝાઝો પરિચય ન હોય. પિતા અંગત વાતો  વાગોળતા લેખમાં લખે છે. “ અમે ભેગા મળીએ ત્યારે બીજી કોઇ વાતની પંચાત કરતા નહીં. હું અને શીલા (શીલા ભટ્ટ) આઠ વર્ષથી કેમ અલગ રહીએ છીએ એ કદી શક્તિએ ચર્ચ્યું નહોતું. અમે પુસ્તક અને અંગ્રેજી સાહિત્યની જ ચર્ચા કરતા. એણે કોઇ કરિયાવર માગ્યો નહોતો કે મેં આપ્યો નહોતો.મરણના એકવીસ દિવસ પહેલા એણે ઘણા સંકોચ સાથે બે પુસ્તક માગ્યા ત્યારે મેં મહાન ભેટ આપી હોય તેમ તે પુસ્તક ઘણા કામ લાગ્યા તેની વાતો કરતી, ઘણી વખતે તેને માગેલા પુસ્તકો મેં આપ્યા નથી પણ તેને ક્યારેય ઓછું નથી આણ્યું. શકતિ મારી અને શીલા વચ્ચે સેતુ જેવી હતી. આ પિતાએ લેખમાં ઘણું બધું લખ્યું છે પણ મૃત્યુના સત્યનો સ્વિકાર કરવા માટે હિમાલય જેવું ધૈર્ય જોઇએ. ધન્ય ..  ધન્ય..

મૄત્યુ વિષે આચાર્ય રજનીશની બે ત્રણ ઓડિઓ કેસેટ  સાંભળી છે, રજનીશજી મૃત્યુનો શોક નહીં પણ આનંદ અને ઉત્સવ મનાવવો જોઇએ તેમ કહેતા, મૃત્યુ એ જિંદગી સાથે જોડાયેલું જ છે, જેમ બાળકના જન્મનો આનંદ મનાવવામાં આવે છે તેમ  મૃત્યુનો આનંદ મનાવવો જોઇએ. પોતાના આશ્રમમાં જ્યારે કોઇ શિષ્યનું મૃત્યું થતું ત્યારે ઉત્સવ જેવું વાતાવરણ થતું. એટલું જ નહી જ્યારે ખુદ રજનીશજીને હ્ર્દય રોગનો હુમલો થયો ત્યારે તેમની સાથે આશ્રમમાં રહેતા શિષ્યોમાં હાર્ટ-શ્પેસિયાલીસ્ટ પણ હતા. જ્યારે તે ડોક્ટર શિષ્યો તાત્કાલીક સારવાર માટે નજીક આવ્યા ત્યારે શ્રી રજનીશે કહ્યું ” Let me die peacefully ” મને જો મૃત્યુનો ડર હોય તો મારુ કહેલું અને મારુ જીવન આખું વ્યર્થ કહેવાય, મારા મૃત્યુને દૂર ધકેલવાનો કોઇ પ્રયાસ ન કરતા “Let me die peacefully “  આ હતા રજનીશ ! શાન્તીપૂર્વક તેમણે જીવનને મૃત્યુને  હવાલે કરી દીધું. આ વાત તેમની સમક્ષ હાજર રહેલા ડોક્ટર શિષ્યોએ જ પત્રકારોને કરી હતી.

મૃત્યુ કોઇને છોડતું નથી, રાજા હોય કે રંક,  નેતા હોય કે અભિનેતા, હિન્દુ હોય કે મુસલમાન, પશુ હોય કે પક્ષી,  કે પછી વૃક્ષ…..

d3

 

 

 

 

( બલોગ- ૫૨ )

મોહમ્મદ અજમલ અમીર કસાબ હસ્યો,  બોલો કસાબ હસ્યો !

અંજલી વાઘમારે નામની વકીલ કસાબ માટે રોકવામાં આવી અને જજ શ્રી એમ. એલ. તાહીલ્યાનીએ કસાબને કહ્યું ” નમસ્તે કસાબ ” અને સમાચાર બની ગયા,  ” Kasab greets judge with ‘Namaste’ and smile ” કસાબે સ્મિત સાથે પ્રતિભાવ આપ્યો.

 

 

મને પણ હસવું આવ્યુ,

કસાબ તું છેલ્લે ક્યારે હસ્યો હતો ?

મને તો હતું કે તું ક્યારેય હસ્યો નહીં હોય !

હસવાનું તો તમારે જમા કરી દેવાનું હોય છે ને ?

ચહેરો ભૂલથી હસી ન પડે એટલે બુકાનીઓ બાંધો છો.

એકલી તગતગતી આંખો કદાચ હસી શકતી નહીં હોય !

બુકાની બાધીને તમે અરીસા સામે ઉભા રહેતા હશો,

અને ખાત્રી કરીલેતા હશો કે ક્યાંક માણસની જેમ હસી ન પડાય.

હસવા વિષે આમેય ક્યાં કોઇ ધરમમાં ખાસ લખેલું હોય છે !

હસો નહીં તો ચાલે,

પણ કોઇનું હાસ્ય છિનવી લેવું એતો નર્યો અધર્મ !

તું હસવા માંડ્યો એટલે મને થયું કે,

તારો ધક્કો ક્યાંક ધરમ ધક્કો ન પડે !

આમેય ધરમના નામે  લોકોને  ધક્કે  ચડાવવામાં આવે છે,

આ વાત તો હવે જુની થવા આવી.

તારા હસવાથી મને શંકા થવા લાગી કે,

તારામાં ભૂલથી ક્યાંક થોડોક માણસ રહી ગયો હશે !

જે તારી બેભાન અવસ્થામાં થોડોક થોડોક સળવળતો હશે.

 

 

t2લાલઘૂમ તગતગતી આંખોથી તરડાયેલા ચહેરાઓએ

તારો માણસ નીચોવીને કાઢી લીધો હશે ત્યારે,

શેરડીના છોતરામાં જેમ થોડોક રસ રહી જાય છે તેમ !

તારામાં થોડોક માણસ રહી ગયો હશે !

કસાબ તું નહીં,

આ છોતરામાં બચી ગયેલા રસ જેવો માણસ હસ્યો હશે !

જોજે ભૂલથી હસવાને ધરમ ના સમજી બેસતો !

બાકી તું હસ્યો એટલે મનેય હસવું આવ્યું !

મને અંદર અંદર છાને ખૂણે ડરતા ડરતા એવું લાગ્યું કે,

તને બીજા કોઇના હાસ્ય છિનવી લીધાનો અફસોસ કદાચ થાય.

 

બાકી પેલી લાલઘૂમ આંખો અને તરડાયેલા ચહેરાઓ

તારા હાસ્યને નીહાળી રહ્યા છે,

જે લોકોએ તારામાં રહેલો માણસ નીચોવીને તને છુટ્ટો છોડી દીધેલો.

કસાબ હસતા પહેલા સો વખત વિચાર જે

હસવું એટલું સહેલુ નથી.

 

 

[ બ્લોગ- ૫૧ ]

htમારે અને મારા મિત્ર થાનકીને ફોન પર અવારનવાર નવા નવા વિષયો ઉપર વાતો નીકળે, એક વાર થાનકીએ કહ્યું ” પંચતંત્રની એક વાર્તા છે, નોકરે પોતાની જરુરીયાતને જાળવી રાખવી જોઇએ આ વાત વિષ્ણુ શર્મા નામના પંડીતે હજારો વર્ષો પહેલા પંચતંત્રની વાર્તામાં જણાવેલ છે, અને તે વાતનો બોધ આજેય એટલો જ મહત્વ ધરાવે છે” એમ કહીને તેણે ટૂંકમાં વાર્તા કહી અને કાયમની ટેવ મુજબ અમે ખૂબ હસ્યા.

આજે ૨૧મી સદીની જ વાત લઇએ, વિશ્વમાં ચારે તરફ મંદીનું મોજુ ફરીવળ્યું છે. મંદીના ઓઠા હેઠળ આજે ઉદ્યોગપતિઓ અને મોટા મોટા નામી અને કોર્પોરેટ લેવલના શંકુલો પોતાનો સ્ટાફ ઓછો કરી રહ્યાં છે. રીતસર ઝાડુ મારી સફાયો કરવાનું કામ ચાલી રહ્યું છે, હકીકતમાં કામ એટલું જ છે, કામ ઓછું નથી થયું. પંચતંત્રની જે વાર્તા થાનકીએ ફોન પર કરી હતી તે આ વાતને લગતી જ છે.

એક ગુફામાં સિંહ રહેતો હતો. જ્યારે તે ઊંઘી જતો ત્યારે એક ઉંદર તેની આજુ બાજુ ફર્યા el22કરતો અને તેની ઊંઘમાં ખલેલ પડતી. તેણે વિચાર કર્યો કે એક બિલાડીને ચાકરીએ (નોકરીએ) રાખી લઉં. જ્યારે હું સુઇ જવું ત્યારે તે ઉંદરનું ધ્યાન રાખે, તેની બીકથી ઉંદર નજીક આવવાની હિંમત નહીં કરે. ભાઇ, બિલાડીની નોકરી ચાલું ! સિંહ સુઇ જાય, અને બિલાડી ઉંદર નજીક ન આવે તેનું ધ્યાન રાખવા જાગતી બેસી રહે. બિલાડીને એકનું એક કામ કરતા કંટાળો આવવા લાગ્યો. એટલે તેને વિચાર કર્યો કે ઉંદરને મારીનાખું એટલે ઝંઝટ ખતમ. અને તેણે ઉંદરને લાગ આવતા જ ખતમ કરી નાખ્યો. સિંહને એવું લાગ્યું કે હવે બિલાડીને ચાકરી (નોકરી ) પર ચાલુ રાખવાની જરૂર નથી, હવે તેના જોગ કોઇ કામ રહ્યું નથી, સિંહે બિલાડીને છુટ્ટી કરી દીધી.

પંચતંત્રની વાર્તાનો બોધ આજના સંદર્ભે પણ એટલોજ લાગુ પડે છે ને ? સમજવા જેવો છે ને ?

 el31વિષ્ણુ શર્મા નામના પંડીતે “પંચતત્ર ” નામના ગ્રંથની રચના ઇ. પૂર્વે બીજી સદીમાં સમ્રાટ અશોકના મૃત્યુ પછી અને શૃંગ વંશના રાજા પુષ્યમિત્રના સમયમાં કરી હતી. એક દંત કથા પણ આ ગ્રંથ વિષે સાંભળેલી છે. એક રાજાએ પોતાના મૂર્ખ અને બુધ્ધુ જેવા રાજ કુમારોને વ્યવહારુ જ્ઞાન મળે તે માટે આ વિષ્ણુ શર્મા નામના પંડીતને રોક્યો, પશુ પક્ષીઓની વાર્તાઓ કહીને આ પંડિતે રાજનિતી, અર્થકારણ અને નિતીશાસ્ત્રના એવા એવા પાઠો સમજાવ્યા છે કે સામાન્ય માણસ પણ સહજતાથી સમજી શકે. આ પંચતંત્ર ગ્રંથ ઇ.સ.ની છઠ્ઠી સદીમાં તો દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો. માત્ર ભારતના જ નહી પણ ચીન, જાપાન, ફ્રાંસ અને જર્મન વિદ્વાનોએ પણ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રંશંસા કરી છે. અગિયારમી સદી સુધીમાં આ ગ્રંથનો અનુવાદ અરબી, સીરિયન, લેટીન, ગ્રીક, ઇટાલીયન, જર્મન અને ફ્રાંસ જેવી વિશ્વની ઘણી ભાષામાં થયો. આ ગ્રંથ વિશ્વ સાહિત્યની કક્ષામાં મુકાઇ ગયો. ૧૯૬૫ માંઅમેરિકન યુનિવર્સીટીના સંસ્કૃત અને ભાષાના પ્રોફસર સર ફ્રેન્કલીન-એડગર્ટે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો  ” The Panchtantra Translated from Sanskrit “. પંચતંત્ર એક અજોડ શૈલીનો ગ્રંથ છે. આ ગ્રંથની વાર્તાના બોધપાઠો આજે ૨૧મી સદીમાં પણ  સચોટ ઉદાહરણો પુરા પાડે છે.

( આજે ૫૦ બ્લોગ પુરા થયા, હંમેશા પ્રેરક બનીને રહેલા બ્લોગ મિત્રોનો આભાર )

જય હો…  જય હો  ભાઇ ચારે તરફ જય હો.. કયારે, કોની, શા માટે ? ચાલે રાખે છે !

ચુંટણી આવી રહી છે ! કિમ આશ્ચર્યમ ? સૌથી આશ્ચર્ય પમાડે તેવું શું છે ? મારા મિત્ર થાનકીએ છેલ્લા બ્લોગમાં મોટું આશ્ચર્ય જણાવ્યું કે સિક્કીમમાં, સિક્કીમ ડેમોક્રેટીક ફ્રંટને (SDF) હરાવવા કોંગ્રેસ, ભાજપ અને સીપીએમે મોરચો રચ્યો છે નામ આપ્યું છે, યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રંટ (UDF), છે ને આશ્ચર્ય ?  જય હો…

el1

ખરં કહું તો આથીયે મોટું આશ્ચર્યતો હું અને તમે છીએ ! મહાભારતમાં યક્ષે યુધિષ્ટિરને પ્રશ્ન પૂછ્યો હતો : કિમ આશ્ચર્યમ, અને ધર્મરાજા યુધિષ્ટિરે જવાબ આપ્યો હતો ” મનુષ્ય પોતાના સ્નેહીજનને સ્મશાને અંતિમ સંસ્કાર આપીને ઘરે આવે છે અને સંસારમાં એવો પરોવાઇ જાય છે કે જાણે મૃત્યુ તેને માટે છે જ નહીં !” સંસારનું આ સૌથી મોટુ આશ્ચર્ય છે.  

યુધિષ્ટિરે જો ચુંટણી વખતની ભારતીયોની મનો દશા જોઇ હોત તો બીજા મોટા આશ્ચર્ય માટે યક્ષને જણાવત કે, આ પણ સૌથી મોટું આશ્ચર્ય છે કે ભારતવર્ષમાં ચુંટણીમાં ક્યા પક્ષને મત આપવો તેને માટે એકે એક મતદાર વિમાસણમાં પડેલો હોય છે, કારણકે કોઇ પક્ષ બીજા પક્ષથી શા માટે અલગ છે ? અને એવા ક્યા કરીશ્માઓ તેમની પાસે છે ? જે વડે તે દેશને બીજા પક્ષ કરતાં વધારે ઝડપથી પ્રગતીના પંથે લઇ જશે ? કોઇ મતદારને સમજમાં નથી આવતું. દર ચુંટણીના સમયે આ વિમાસણ તો ઊભી ને ઊભી જ. બોલો છે ને આ સમસ્યા પણ યુધિષ્ટિરના પહેલા જવાબ જેવી જ !,  મતદાર પાંચ વર્ષ સુધી સરકારના નામના રોદણા રોયે રાખે અને ચુંટણી વખતે શું કરવું તે ભૂલી જાય.  જય હો……

 આમ તો  કોઇ નેતા પણ ક્યાં પોતાના પક્ષની નિતી કે આચાર સંહિતા વિષે સ્પષ્ટ હોય છે ? ભજ ગોવિંદમ..   ભજ ગોવિંદમ.. ,  ભજ ગોવિંદમ મૂઢ મતે.. આ લોકોએ

el21

આપણને બીલકૂલ મૂઢ બનાવી દીધા છે. પસંદગીના કોઇ વિકલ્પો વિચારી પણ ન શકીએ તેવી કફોડી હાલતમાં મૂકી દીધા છે. ઓપરેશન માટે ડોક્ટર જે રીતે લોકલ અનેસ્થેસીયા આપીને શરીરના ભાગને બહેરો કરી નાખે છે અને ખાત્રી કરી લે છે કે શરીરનો તે ભાગ સાવ સેન્સ વગરનો થઇ ગયો છે ને ? તેમ આ પક્ષોના નેતાઓને પુરી ખાત્રી છે કે  ભારતની પ્રજા મૂઢ થઇ ગઈ છે.   જય  હો……

 ટી. વી. માં એક જાહેરાત ઘણી વખત જોવા મળી છે, છે તો કદાચ કોઇ ચાની કંપનીની જ, પણ ઘણી જ ઇન્ટેલિજન્ટ અને દાદ માગી લે તેવી છે. એક યુવાન ખડ્ડુસ જેવા દેખાતા નેતાને પૂછે છે ” આપકા ક્વોલીફીકેશન ?” નેતાજી ખડ્ડુસપણું દેખાડતા હોય તેવો જવાબ આપે છે. ” કૌનસા…., કૌનસા…ભાઇ કૌનસા ક્વોલીફીકેશન ? આપ ક્યા હમારા ઇન્ટરવ્યુ લે રહે હૈ ? ” યુવાન જવાબને ગણકાર્યા વગર આગળ પ્રશ્ન કરે છે “કામકા એક્ષ્પીરીયંસ ? ” નેતાજી ફરી પાછો ઉડાઉ જવાબ આપે છે ” કૌનસા કામ ભાઇ,  કૌનસા કામ ?”  યુવાન એકદમ ઝટકો આપે છે ” દેશ કો ચલાનેકા કામ ” નેતાજી જરા ભોંઠા પડી જાય છે અને કહે છે ” અચ્છા…. અચ્છા ” યુવાન ભોઠા પડી ગયેલા નેતાજીને ચાનો કપ ધરે છે ” ચાય લિજીએ !” આ જાહેરાત મને ખૂબ જ.. એટલે ખૂબજ ગમી ગઇ. મનો મન એમ થયા કરે છે કે ભારતનો નાગરીક જો પેલા યુવાન જેટલો જ ખમીર વંતો અને સજાગ હોય તો આજે દેશના નેતાઓ અને પક્ષોની સકલ જ કંઇક ઓર હોત.

નેતાઓ અને પક્ષોને પૂછવા માટે આપણા મનમાં કંઇક આ પ્રકારના યક્ષ પ્રશ્નો હોવા જોઇએ ( I am sharring only, not advising  please)

૧) તમારા પક્ષની અર્થનિતી કેવી હશે ? ૨) ઉદ્યોગીકરણ અને ઉદ્યોગના વિકાસ માટે ક્યા પગલા લેશો ? ૩) વિદેશનિતી કેવા પ્રકારની હશે ? ૪) જાતીવાદ અને પ્રાંત વાદ નાબુદ કરવા કઇ રણનિતી અપનાવશો ? ૫) શિક્ષણના વિકાસ માટે ક્યા કાર્યક્રમો ઘડશો ? ૬) કાયદો અને વ્યવસ્થાના માળખામાં ક્યા ક્યા સુધારા કરશો ? ૭) ભ્રષ્ટાચાર નાબુદ કરવા ક્યું નિતીશાસ્ત્ર ઘડશો ? ૮) આર્થિક અસમાનતા ઓછી થાય તેવા ક્યા પગલા લેશો ? ૯) રાષ્ટ્રને નુક્શાન કરતી ચળવળો વાળા કે દેશની એકતા તોડવા વાળા અને કાયમ નફરતનું રાજકારણ ખેલવા વાળા નેતાઓ સામે કામ ચલાવી શકાય તેવા ક્યા કાયદાઓ અમલમાં લાવશો ? ૧૦) દેશની આંતરીક અને બાહ્ય સંરક્ષણ વ્યવસ્થા માટે કઇ નિતી ઘડશો ? ૧૧) પોલિસ વ્યવસ્થા પ્રજાની મિત્ર લાગે તેવા નૈતિક સુધારા માટે શું કરશો ? ૧૨) દેશમાં જાતે બની બેઠેલા ગુંડા અને ટપોરી નેતાઓની પકડ માંથી આમ જનતાનો છુટકારો થાય તેવી કઇ નિતી અખત્યાર કરશો ?

લિસ્ટતો ઘણું લાંબુ થાય તેમ છે પણ મને લાગે છે કે આટલા યક્ષ પ્રશ્નો પહેલા તો મારા અને તમારા મનમાં ઉઠવા જોઇએ, અને મતાધિકારને સફળ બનાવવો હોય તો ટી.વી.ની જાહેરાત વાળા યુવાનની જેમ મત માગવા આવનાર નેતાને પૂછવાની હિંમત કરવી જોઇએ.        જય હો……!

 બાકી આપણા ૠષીમુનીઓએ તો ભારતવર્ષની કલ્પના એવી શ્રેષ્ટ કરી છે ! તે આ શ્લોક ઉપરથી ખબર પડે છે.

न राज्यं, न च राजादि, न दंण्डो न च दाण्डीक: ।

धर्मेणेव प्रजा सर्वा, रक्षन्ति स्म परस्परम् ॥

રાજ્ય નથી,  રાજા નથી,  કોઇ ગુન્હેગાર નથી,  કોઇ સજા કરનાર નથી,  પ્રજા સ્વયં ધર્મથી એકબીજાનું રક્ષણ કરે છે !

જય હો….,   જય હો….

« Newer Posts - Older Posts »