ઘડપણ આમતો બહું અણગમતુ લાગતું હોય છે. કોને ગમે ? યુવાનીમાં ખુબ સિધ્ધીઓ મેળવી હોય, દુનિયા સાથે સંબધો વધારીને નામ કામ અને શાન મેળવ્યા હોય, તો પછી રોજની આપાધાપી પણ ખુબ જ કરી હોય ! ઘણુ મેળવ્યું છે તેમ લાગે. નિવૃત જીવન ક્યારેક સમસ્યા પણ લાગે ! મને તો ઘણી વાર એમ થાય છે કે મેળવ્યાની સામે જિંદગીની ઘણી માણવા જેવી પળો ગુમાવી છે. કોઇ શાંત અને સાફસુથરા દરિયા કિનારે ઉભા રહો ! નીલા રંગનું હીરાના નંગ જેવું દરિયાનું પાણી, મોજાનો લયબધ્ધ ઘુઘવાટ, એકાદ દરિયાઇ પંખીનું ચહકાટ સાથે માથા ઉપરથી ઉડવું, શહેરથી દૂર ક્યાંક ઘોર અંધારી રાત્રિનું ઘટાટોપ આકાશ, કરોડો તારલાઓનો ઝગમગાટ, દુધ જેવી આકાશગંગા, એમ લાગે કે શહેરના આકાશમાં ક્યારેય જોવા જ નથી મળ્યું ! હરીયાળા ખેતરો, પવનની શિતળ લહેરખીઓનો સ્પર્શ, ખળખળ વહેતા ઝરણાઓ, જિંદગીમાં ઘણું બધું ખોયુ હોય એવું લાગ્યા કરે ! નિવૃતી પણ આશિર્વાદ રુપ નીવડે, જો ક્ષણોને માણવાની કળા જીવનમાં મળી હોય તો ! આવી નજર તો કોઇ કવિ જ આપી શકે. સુક્ષ્મથી વિરાટને જોડવાની આ કલ્પનાતો જુઓ ! શ્રી સુરેશ દલાલની આ કાવ્ય પંક્તિઓ નિજાનંદમાં ડૂબાડી દે તેવી છે.
ઘાંસમાં પતંગીયું પોઢ્યું હતું,
એણે આખા આકાશને ઓઢ્યું હતું !
જળમાં દીવો તરતો હતો,
જાણે તારાની સાથે ફરતો હતો !
આખા આકાશનો ફોટો લઇ,
દરિયો ડૂબી ગયો પરપોટો થઇ !
ભગવતી કુમાર પાઠકની ઘડપણ ઉપર બે કવિતાઓ
વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો, પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ, વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયોને, કોઇ મુગ્ધા બોલાવે કહી ’કાકો’ !…….વાળને.
તડકામાં ઢોલાજી, બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઇચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું,
મિચકારો મારો તો પાણી ઝરે ને, રાજ, પડછાયો સાવ પડે વાંકો. ….. વાળને.
તસતસતા પેન્ટ દઇ વાસણ ખરીદો અને, ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી,
ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો. ………વાળને.
અંદરજી રોજ રોજ શમણે આવીને, એવા આપે છે અણગમતા જાસા !
ચરણો કહેતાં કે પગ રાંટા પડે ને, થયા ગરદનના મણકાઓ ત્રાંસા !
સરહદ લોપાણી છે મસ્તક-કપાળની, ને વાળના છે એક બેક ગુછ્છા !
મોઢામાં બેક રહ્યાં બાકી મહેમાન, વળે ભોજનના અંદરથી કૂચ્ચા !
રાતભર દોમદોમ ઊંઘ્યા હો તોય, તમે ખુરશીમાં ખાતા બગાસા .
જીવતરનો ખેલ કેમ ખાલી ગયો છે, એનો અંદરજી પાડે છે ફોડ,
ઢાળી ચોપાટ તમે વહેલેરી વા’લમા, રહ્યાં છો તો યે નતોડ,
ગળપણ વિના ય ભલા ગળચટ્ટા લાગતા, મનના પકાવો પતાસા.
અંદરજી રોજ આપે….. અણગમતા જાસા…
જીવન માણવાની કળા શિખવી કે રોજ રોજ ઘડપણના જાસા સાંભળીને ક્ષણો ખોવી એ નક્કી કરવાનું રહે !!!!!!!!!!!!!!!