૧૯૭૦ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનું ગયા રવિવારે તા. ૩-ઓગષ્ટના ૮૯ વર્ષે અવસાન થયું. વિસરાઇ ગયેલા આ લેખકની ક્રુતિઓ “ગુલાગ આર્કી પેલેગો” અને “વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનિસોવિચ” માં સામ્યવાદના ક્રુર અને લોખંડી સત્તાના વિરોધમાં પકડેલા કેદીઓની યાતના કેમ્પોનું દારુણ ચિત્ર હતું. ૧૯૧૮ થી ૧૯૫૬ સુધી સામ્યવાદના કહેવાતા કટ્ટર શાસકોએ જેલ અને લેબર કેમ્પોમાં કરેલા અત્યાચારોની તેમાં વાત હતી. આ પુસ્તકોમાં રશિયામાં ચાલી રહેલી તાનાશાહીનો પર્દાફાશ હતો. જ્યારે આ પુસ્તકો પશ્ચિમી દેશમાં પ્રસિધ્ધ થયા ત્યારે ત્યાંના બુધ્ધિજિવીઓ અને સમગ્ર દુનિયા હલી ગઇ.
રશિયામાં તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યા ૧૯૭૪ માં સોવિયેત સત્તાએ આ લેખકને દેશનિકાલ કરીને તેનુ રશિયન નાગરીકત્વ છિનવી લીધું .૨૦ વર્ષ આ લેખક પોતાનો દેશ છોડીને, બે વર્ષ જર્મનીમાં અને પછી અમેરિકામાં રહીને જીવન ગુજાર્યું. ૧૯૯૦ માં તેમેને રશિયન નાગરિકત્વ પાછું આપવામાં આવ્યું. ૧૯૯૪ માં તેઓ પોતાના વતન રશિયામાં પાછા આવ્યા. વર્ષો સુધી આ લેખક જાહેર જીવનથી દૂર રહ્યો. ૨૦૦૭ માં વ્લાદિમીર પુતિનની સોવિયેત સરકારે “સ્ટેટ પ્રાઇઝ ઓફ રશિયા” આપીને તેમને સન્માનિત કર્યા.
સ્ટાલિનની આપખુદશાહી અને ક્રુર રાજનિતી સામે એ પડકાર રુપ સાબિત થયો હતો. તેમના સાહિત્યથી સેંકડો લોકોની ચેતનામાં હિંમત આવી હતી અને સ્ટાલિનની આપખુદશાહીને પડકારવાની તાકાત આવી હતી. એક લેખક સત્તા પલટવામાં કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે ! તેનો સોલ્ઝેનિત્સિન ઉત્તમ દાખલો છે.
૧૯૧૮ માં જન્મેલો આ લેખક મૂળ તો મેથેમેટિક્સનો સ્નાતક હતો. બચપણમાં જ પિતાની છાંયા ગુમાવી, માતા એક સામાન્ય શોર્ટહેન્ડ ટાઇપીસ્ટ હતી. ૧૯૪૨ માં બીજા વિશ્વયુધ્ધમાં રશિયન રેડ આર્મિમાં તેઓ આર્ટિલરી યુનિટના કમાંડર હતા. જર્મન ફ્રંટ પર હિટલરની સેના સામે યુધ્ધ કરેલું. સારી કામગીરી બદલ તેમને બે વખત સન્માનવામાં આવેલા.
આ એજ સમય હતો જ્યારે રશિયામાં તાનાશાહીની લોખંડી પક્કડે વ્યક્તિ સ્વાતંત્ર ઉપર તરાપ મારી હતી . Emotion always over ride intellect. આ વાત ચાલાક લિડરો બહુ સારી રીતે જાણતા હોય છે. જ્યારે કોઇ પણ વિચારધારા જડતામાં પરિણમે ત્યારે આવું બને છે. રશિયામાં સોવિયેત ઓથોરીટી વિષે કોઇ પણ જાતની ટીકા ટિપ્પણી કરવી તે ગુનો ગણાવા લાગ્યો. એટલુ જ નહિં, આવી ટીકા કરનારની જાણ સત્તાના સુત્રોને કરી દેવી એ વાતમાં લોકો ગર્વ લેવા માંડ્યા. પછી તો એવું બનવા લાગ્યું કે ઘરમાં પતિ-પત્નિ, પ્રેમિ-પ્રેમિકા કે બે મિત્રો પણ સોવિયેત સત્તાની વાતો કરવાનું ટાળતા, કારણ કે એવા અગણિત કિસ્સાઓ બનતા કે ઘરમાં સોવિયેત સત્તા વિષે બાપ દિકરાની ચર્ચા થઇ અને અડધી રાત્રે પોલિસે ઘરનુ બારણું ખટખટાવ્યું હોય અને બેટાને એરેસ્ટ કર્યો હોય , કારણ કે તેનો પિતા જ પોતાના બેટા વિષે સત્તાને જાણ કરી દેતો. પ્રેમિ અને પ્રેમિકા ગાર્ડનમાં બેઠા હોય અને સોવિયેત સત્તા વિષે કંઇક ટીકા ટિપ્પણી થાય , પ્રેમિઓ છુટ્ટા પડે અને થોડિજ વારમાં પ્રેમિના ઘરે પોલિસની બંદૂકનો કૂન્દો બારણા ઉપર ઠોકાય. સામ્યવાદની જડતાના આ હતાં વરવા રુપ !
૧૯૪૫ માં એલેક્ઝાન્ડર સોલઝેનિત્સિને તેના મિત્રને એક પત્ર લખ્યો હતો અને તેમાં સોવિયેત સરકારની ક્રુર નિતી રીતિઓની ટિકા કરી હતી. બસ આટલાજ ગુન્હા બદલ તેમની ધરપકડ થઇ અને આઠ વર્ષની કેદની સજા થઇ . ૧૯૪૫ થી ૧૯૫૩ સુધીની લાંબી જેલ દરમ્યાન તેમણે જે યાતનાઓ ભોગવી અને નજરે જોઇ, તેનું હ્ર્દય દ્રાવક ચિત્ર “ગુલાગ આર્કી પેલેગો” માં છે.
વિસેક વર્ષ પહેલા આ પુસ્તકની થોડિક ઝલક દૈનીકની પૂર્તીમાં વાચેલી.
“જે કોટડીમાં બે કેદિઓ રહી શકે તેવી કોટડીમાં દશથી પણ વધારે કેદીઓને ઠાંસી દેવાતા. કુદરતી હાજતો પણ કોટડીમાં જ કરવી પડતી. એકાદ અઠવાડિયે માંડ કોટડીને સાફ કરવામાં આવતી. નીચે ફર્શ પર લાકડાનાં પાટિયા રાખવામાં આવતા જેથી કરીને મળ મુત્રની ગંદકીનું પાણી પાટીયા નીચે જમા થાય. મચ્છર અને ગંધથી બદબદતી આ કોટડીઓ નર્કાગાર સમી હતી. ભોજન એટલું થોડી માત્રામા અપાતું કે ભુખ કયારેય સંતોષાતી જ નહીં. કેદીઓ બિમાર રહેતા. ક્યારેક એકાદ કેદીનું મ્રત્યુ થતું તો બીજા કેદીઓ તેની લાશને લાકડાનાં પાટીયા નીચે સંતાડી દેતાં, જેથી કરીને તેના ભાગનું ભોજન મળી રહે. બે ત્રણ દિવસે જ્યારે મ્રત્યું પામેલા કેદીની લાશ ગંધાઇ ઉઠતી ત્યારે જેલના આધિકારીઓને ખબર પડતી કે એક કેદીનું મ્રત્યુ થયું છે.”
એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનો રશિયાના રાજકીય ઇતિહાસમાં બહુ મોટો ફાળો છે. તે પોતાની જન્મભૂમિને પ્યાર કરતો રહ્યો અને ક્રુર સાસકોને ધ્ધિક્કારતો રહ્યો. હંમેશા વ્યક્તિગત સ્વાતંત્રનો હિમાયતી રહ્યો.
વ્યોમને શ્વાસ સોંપી, હે ધરા, અંકમાં તુજ સમાવીશ હું જીવન.
પ્રેમ હું કરતો રહ્યો તને , હે ધરા, રોજ બોલાવતું રહ્યું મને ગગન.