જેમ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર તેવી જ રીતે, જ્યાં વૈજ્ઞાનીકોની શોધ અટકી પડે છે કે તરત જ ઇશ્વરની આધિનતા સ્વિકારીલેવામાં આવે છે.
” હિગ્ઝ-બોસોર્ન” પાર્ટીકલ્સની શોધ થઇ પછી આગળ હમણાતો પૂર્ણવિરામ છે. લિયોન લેડરમેને આ શોધને “ગોડ પાર્ટીકલ્સ ” નામ આપ્યું કે ઇશ્વરી તત્વ વિષે બધાના જંતર વાગવાના ચાલુ થઇ ગયા. કોઇએ કહ્યું કે આ પ્રોજેક્ટ શરુ થયો ત્યારે જ ભારત સરકારે આપણા વૈજ્ઞાનીક સત્યેન બોઝને ’સર્ન’ સંસ્થાની ઓફિસમાં મુકવા માટે નટરાજની મૂર્તી આપેલી. હકિકતમાં તો બ્રહ્માની મૂર્તી આપવી જોઇએ કારણ કે હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્મા સર્જનહાર છે. વિષ્ણુ પાલનહાર પણ શંકર તો વિનાશના દેવ છે. કોઇક મહારાજ તો વળી ’ગોડ પાર્ટીકલ્સ’ વિષે કહેવા લાગ્યા કે જે સુક્ષ્માતી સુક્ષ્મ છે અને જે સૌથી વિશાળ અને અનંત છે તે ’ગોડ પાર્ટીકલ્સ’ . હવે મારે જે વાત કહેવી છે તે બીજી જ છે. આગળ ભુતકાળમાં પણ વૈજ્ઞાનીકોએ છેલ્લે ઇશ્વરની આધીનતા સ્વીકારેલ છે. રજનીશજીએ ક્યાંક આવી વાતનો ઉલ્લેખ કર્યો છે કે વિજ્ઞાનની શોધ એટલે એક રહસ્ય્નું તાળું ખોલો કે બીજા દશ બંધ તાળાઓ સામા ઉભા જ હોય.
સલામ છે સર્ન સંસ્થાના વૈજ્ઞાનીકો પીટર હિગ્ઝ અને સત્યેન્દ્ર નાથ બોઝને જેમણે વર્ષોની જહેમત પછી બ્રમ્હાંડના સુક્ષ્માતી સુક્ષ્મ કણોની શોધ કરી. જેનું નામ આપવામાં આવ્યું ” હિગ્ઝ-બોસોર્ન”. જો કે તેઓ ગોડ પાર્ટીકલ્સ નામકરણ સાથે બિલકુલ સહમત ન હતાં.
સ્ટીફન હોકીંગ કે જે દુનિયાના શ્રેષ્ઠ અને વિચક્ષણ બુધ્ધિમત્તા વાળા વૈજ્ઞાનીક છે. તેમણે તો આશા જ નહોતી કે આ જાતના સુક્ષ્મ કણો શોધી શકાય. જે ’બીગ-બેન્ગ’ની થિયરી પ્રમાણે તે વખતે પેદા થયા હતા, અને તે પછી આ બ્રહ્માંડનો પ્રકાશ વેગે વિસ્તાર થયો હતો. ( આ વૈજ્ઞાનીક થિયરીની માન્યતા છે ) જ્યારે આ શોધ કાર્યનો પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારે સ્ટીફન હોકીંગે તો મિશીગન યુનિવર્સીટીના ગોર્ડન કેન સાથે ૧૦૦ ડોલરની શર્ત લગાવી હતી. અને તેમણે પ્રમાણીક પણે પોતે શર્ત હારી ગયા તેવું કબુલ કર્યું.
આઇઝેક ન્યુટને ૧૮૬૭ ની સાલમાં ગુરુત્વાકર્ષણના નિયમો બતાવ્યા પછી ઘણા પ્રશ્નો ઉભા થયા. જેમ કે આકાશી પદાર્થો પોતાના ગુરુત્વાકર્ષણથી જો એક મેકને ખેંચતા હોય તો અવકાશી ચંદરવામાં દેખાતા તારલાઓ જેમના તેમ દેખાય છે તે ક્યારના એક બિન્દુમાં સમેટાઇ ગયા હોત. આ વાતનો ખુલાસો તે આપી ન શક્યા અને અંતે કહી દીધું કે ઇશ્વરનો અદ્રશ્ય હાથ બ્રહ્માંડનું કેન્દ્રવર્તી પતન રોકે છે.
આઇનસ્ટાઇને ૧૯૦૫ માં સ્પેશિયલ થિયરી ઓફ રીલેટીવીટી અને પછી ૧૯૧૫ માં જનરલ થિયરી ઓફ રીલેટીવીટીના સિધ્ધાંત વડે ન્યુટનના સિધ્ધાંતનો છેદ ઉડાડી દીધો. અને જાહેર કર્યું કે બ્રહ્માંડ સ્થગિત છે. ૧૯૧૫ માં રજુ કરેલી આઇનસ્ટાઇનની જનરલ થિયરી ઓફ રીલેટીવીટી પણ વિવાદના સંકટમાં ઘેરાઇ ત્યારે આ થિયરીને પાછીતો ન ખેંચીશક્યા પણ ૧૯૧૭ માં તેમણે બ્રહ્માંડને સ્થાઇ બતાવવા માટે ખગોળશાસ્ત્રીય અચળાંકનો શમાવેશ કર્યો. Cosmological constant નામના પ્રતિ-ગુરુત્વાકર્ષણ બળ અવકાશી પદાર્થોને સ્થાઇ રાખે છે. આઇનસ્ટાઇનની આ થિયરીને રસિયન ભૌતિકશાસ્ત્રી એલેકઝાન્ડર ફ્રીડમેને પડકારી અને સાબિત કર્યું કે બ્રહ્માંડ તો વિસ્તરી રહ્યું છે. અમેરીકન ખગોળ શાસ્ત્રીએ ૧૯૨૩ માં ૧૦૦ ઇંચ વ્યાસ વાળા શક્તીશાળી ટેલિસ્કોપ વડે આકાશ-દર્શન કરી અને પ્રકાશ કિરણોનું સ્પેક્ટ્રોકોપીક વિશ્લેષણ કર્યું અને જાહેર કર્યું કે બ્રહ્માંડમાં રહેલી આકાશગંગાઓ કલાકના લાખો કિલોમીટરની ઝડપે એક બીજાથી દૂર જઇ રહી છે. આ વાતથી આઇનસ્ટાઇનના Cosmological constant ખગોળશાસ્ત્રીય અચળાંકના નિયમ પર પાણી ફરી વળ્યું. આઇનસ્ટાઇને રહી રહીને પોતાની ઘણી ભૂલોને કબુલી હતી. આ બધી વૈજ્ઞાનીક ગણત્રીઓથી કંટાળીને એક વાર કોઇને કહ્યું હતું કે -” જો પુનર્જન્મ જેવું કંઇ હોય તો ઇશ્વરને પ્રાર્થના કરું છૂં કે આવતા જન્મમાં મને વૈજ્ઞાનીક ન બનાવે.
આ બધી વૈજ્ઞાનીક ઢબે ઉલટી સિધી ગણતરીઓ અને શોધો, જો અને તો સાથે બિગ-બેન્ગની કલ્પના સુધી પહોંચી છે. અને હવે છેલ્લે “ગોડ-પાર્ટીકલ્સ, ઇશ્વરી તત્વની વાતો આવી. થોડુંક હોમ-વર્ક કરીને આ બધી વિગતો એકઠી કરી છે, બાકી હું પોતે વિજ્ઞાનની બાબતમાં સાવ ઠોઠ છું. પણ આ વાતને આપણા માનીતા ઉર્દુ કવિ ગાલિબે બહુ સહજતાથી સમજાવી દીધી હતી. – न था कुछ भी, खुदा था । न कुछ होता, खुदा होता ।
મારા મતે તો જીવવાની જીજીવિષા એટલે ઇશ્વરી તત્વ, મોતનો ડર લાગે અને જે યાદ આવે તે ઇશ્વરી તત્વ, શારીરીક પીડા સહન ન થાય અને જેને હાથ જોડાઇ જાય તે ઇશ્વરી તત્વ, પોતાનું બાળક અટુલુ પડીને ખોવાઇ જાય અને જે ઝુરાપો થાય તે ઇશ્વરી તત્વ, કોઇ માસુમ બાળક અજાણ્યા માણસને ’ અન્કલ !!!!..’ કહીને બોલાવે અને વ્હાલથી ચુમી લેવાનું મન થઇ જાય તે ઇશ્વરી તત્વ. डुबोया मेरे होने ने । न मै होता तो क्या होता । ગાલિબનો આ શેર પુરો કરીને અટકું છું. બાકી ઇશ્વરી તત્વ ૧૦૦ મીટર ઉંડે, ૨૭ કિલો મીટરની ( Large Hadron Collider ) ટનલમાં છુપાઇને બેઠું હોય તે માન્ય નથી.
બ્લોગ-૯૮